ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં સતત ત્રીજા દિવસે કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. ગુરુવારના રોજ સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને લઇને જાણકારી આપી છે. હોસ્પિટલ દ્વારા જણવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં આજે સવારે કોઇ સુધારો જોવા મળ્યો નથી. ત્યારે પ્રણવ મુખર્જીની આરોગ્ય સ્થિતિને લઇને કેટલીક અફવાઓ ફેલાવામાં આવી રહી છે ત્યારે તેના દિકરા અભિજીત મુખર્જીએ તેનું ખંડન કર્યું છે.
સેનાના રિસર્ચ તેમજ રેફરલ હોસ્પિટલે પ્રણવ મુખર્જીના આરોગ્યને લઇને જાણકારી આપી છે. હોસ્પિટલ તરફથી મળતા સમાચાર મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં ગુરુવારે સવારે પણ કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. તેઓ હાલ ભાનમાં નથી અને વેંટિલેટરના સપોર્ટ પર છે.
અભિજીત મુખર્જીએ ટ્વિટ કર્યું, મારા પિતાજી પ્રણવ મુખર્જી હાલમાં જીવિત છે અને હેમોડાયામિક રીતે સ્થિર છે. પ્રતિષ્ઠિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહેલી અટકળો અને ફેક સમાચારોથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝનું કારખાનું બની ગયું છે.
જ્યારે પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ તેમની તબિયતને લઇને ઉડી રહેલી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. શર્મિષ્ઠાએ ટ્વિટ કરી કહ્યું કે મારાપિતાની તબિયતને લઇને ચાલી રહેલી અફવાઓ ખોટી છે. બધા લોકોને અપીલ કરુ છું, ખાસ મીડિયાને કે તેઓ મને ફોન ન કરે, કારણ કે મારા ફોન પર હોસ્પિટલમાંથી મારા પિતાની તબિયતને લઇને અપડેટ આવતા હોય છે.