ગુનોખોરી કરતા અસામાજિત તત્વો હવે સાવધાન થઇ જાય. ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનું ગુંડા એક્ટ બિલ બહુમતિના જોરે પાસ થયું છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ' બિલ વિધાનસભામાં પાસ કરાયું છે. બિલ પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર સાંખી નહીં લે. આવા તત્વો ચેતી જાય, અમે કોઇને છોડીશું નહીં.
ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનું બિલ પાસ
ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર સાંખી નહીં લેઃ ગૃહ રાજ્ય મંત્રી
અસામાજિક તત્વોને ગુનો કરવો હોય તો 100 વાર વિચાર કરેઃ ગૃહ રાજ્ય મંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ ગુંડા તત્વો સામે લાલ આંખ કરી છે. ગુંડાગર્દી કરી તો ગુજરાત છોડવું પડશે. ગુંડાઓ સામે ગાળિયો કસવા માટે સરકારે કાયદો બનાવ્યો છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજ્યમાં પ્રવર્તિ રહેલા શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.
અસામાજિક તત્વોને ગુનો કરવો હોય તો 100 વાર વિચાર કરેઃ પ્રદિપસિંહ
ગુજરાત વિધાનસભામાં બુધવારે(23-9-2020) પાસાના કાયદામાં સુધારો કરતું બિલ રજૂ કરતા પ્રદિપસિંહે કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવત નેતૃત્વ અને દિર્ઘપૂર્ણ આયોજનના પરિણામે રાજ્યમાં આજે કોઇપણ અસામાજિક તત્વોને ગુનો કરવો હોય તો 100 વાર વિચાર કરે. પ્રધાનમંત્રી મોદીના રસ્તે ચાલીને મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં વ્યથાને વ્યવસ્થામાં ફેરવવાનું કાર્ય કર્યું છે. આવા તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સુધારા બિલ લવાયું છે.
કોંગ્રેસના સમયમાં ગુંડાઓ બેફામ હતાઃ પ્રદિપસિંહ
પ્રદિપસિંહે અગાઉ કહ્યું હતું કે, વ્યાજખોર, જમીન ગેરકાયદેસર કબ્જા અને મહિલાઓનું શોષણ કરનાર વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, સરકારે કડક કાયદો બનાવ્યો છે. કોંગ્રેસના સમયમાં ગુંડાઓ બેફામ હતા. કોંગ્રેસે ગુંડાઓ સામે કડક કાયદા બનાવ્યા નથી. કાયદાનો દુરપયોગ ન થાય તેની પણ વ્યવસ્થા કરાઇ છે. ગુજરાત ગુંડા નાબુદી ધારા કાયદો પસાર કરાશે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગઈકાલે માઈક ફેંક્યુ હતું. ગુજરાતની શાંતિ માટે સરકાર કામ કરી રહી છે.
ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ
ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ બિલ વિધાનસભામાં પાસ થયું છે. આ કાયદામાં ગુંડાગીરી કરનાર તત્વોને 10 વર્ષની સખત કેદની સજા અને 50 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુંડા તત્વો સામે ઝડપી કેસ ચલાવવા, કાર્યવાહી કરવા અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત મેજિસ્ટ્રેટ દ્વારા ટાંચમાં લઈ શકાશે. ગુજરાતમાં અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી થશે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રખાશે.