વાયુ પ્રદૂષણ ફેલાવનારા લોકો વિરુદ્ધ સખત વલણ અપનાવતાં કેન્દ્ર સરકાર એક નવો અધ્યાદેશ લઇને આવી છે. લો એન્ડ જસ્ટિસ મંત્રાલય દ્વારા જારી અધ્યાદેશ હેઠળ પૂર્વ પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીને કેન્સલ કરીને રાજધાની દિલ્હી અને પાડોશી ક્ષેત્રોમાં ઉચિત વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ માટે કમિટીની રચના કરવામાં આવશે.
વાયુ પ્રદૂષણ ફેલાવનારા સામે લવાશે એક અધ્યાદેશ
કેન્દ્ર સરકાર કરી રહી છે વિચારણા
દિલ્હીમાં વાયુ પ્રદુષણને કારણે સ્થિતિ બની છે ગંભીર
૨૮ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ જારી અધ્યાદેશ પર માનનીય રાષ્ટ્રપતિ મહોદય દ્વારા સ્વીકૃતિની મહોર લગાવી દેવાઇ છે તેમાં અધ્યક્ષ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાનના પ્રતિનિધિ સહિત કુલ ૧૮ સભ્ય હશે, જેમની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આયોગ પાસે નિર્ણય લેવા, ફરિયાદ પર સુનાવણી અને આદેશ જારી કરવાના અધિકાર હશે. કોઇ જોગવાઇ, નિયમ, નિર્દેશ અથવા આદેશનું પાલન ન કરવું દંડનીય અપરાધ હશે. તે હેઠળ પાંચ વર્ષની જેલ અથવા એક કરોડનો દંડ અથવા બંને થઇ શકે છે. તેને એક શક્તિશાળી કમિશનના રૂપમાં જોવામાં આવે છે. માત્ર દિલ્હી અને એનસીઆર નહિ, પરંતુ પાડોશી રાજ્યમાં પણ તે લાગુ પડશે.
દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણનું મૂળ કારણ વાહન અને ઔદ્યોગિક સંયંત્ર ઉત્સર્જિત
ભલે બધો દોષ ખેડૂતોના માથે નખાતો હોય, પરંતુ રિપોર્ટ કહે છે કે દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણનું મૂળ કારણ વાહન અને ઔદ્યોગિક સંયંત્ર દ્વારા ઉત્સર્જિત ધુમાડો છે, જોકે તે સત્યને પણ નકારી ન શકાય કે પરાલી સળગાવવાથી પ્રદૂષણ વધે છે. પંજાબની વાત કરીએ તો પ્રતિવર્ષ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ઉત્પાદિત લગભગ ૨૦૦ લાખ ટન પરાલીમાંથી ૧૦૫ લાખ ટન સળગાવી દેવાય છે.
સરકારી યોજનાઓ અને સબસિડીની જાહેરાતો તથા જાગૃતિ કેમ્પના આયોજનથી પણ પરાલી ન સળગાવવાનાં કોઇ ઠોસ સમાધાન મળી શક્યાં નથી. કોરોનાકાળમાં આર્થિક વિવશતા અને શ્રમ અનુપલબ્ધતાના કારણે છેલ્લાં બે વર્ષની સરખામણીમાં પરાલી સળગાવવાના કેસ ત્રણ ગણા વધ્યા છે.
સેટેલાઇટ રિપોર્ટ અનુસાર અહીં ગયા વર્ષે ૨૧ સપ્ટેમ્બરથી ૨૪ ઓક્ટોબર વચ્ચે ૧૭૪૪ કેસ આવ્યા હતા. આ વખતે ૧૨,૦૫૭ કેસ સામે આવ્યા. પરાલી સળગાવવાનું એક મોટું કારણ હેપી સીડર કે સુપર સીડર જેવાં આધુનિક યંત્ર મોંઘાં હોવાં તે પણ છે. પરાલી નષ્ટ કરવામાં ૧૨ થી ૧૫ િલટર પ્રતિએકર તથા ખેતરની વાવણી કરવામાં ચારથી પાંચ િલટર પ્રતિએકર ડીઝલની જરૂર પડે છે, તેનો ખર્ચ ઉઠાવી શકવાનું નાના ખેડૂતો માટે શક્ય નથી. પરાલી સળગાવવાથી માત્ર વાતાવરણ પ્રદૂષિત થાય છે એવું નથી, પરંતુ જમીનની ફળદ્રૂપતા પર પણ અસર પડે છે.
પ્રદૂષણ પ્રત્યેક દૃષ્ટિએ હાનિકારક
માધ્યમ કોઇ પણ હોય, પ્રદૂષણ પ્રત્યેક દૃષ્ટિએ હાનિકારક છે. સ્મોગના કારણે માત્ર દુર્ઘટનાઓમાં વધારો થતો નથી, પરંતુ એર ક્વોલિટીનું ઘટતું જતું સ્તર શ્વસન પ્રણાલીને પ્રભાવિત કરી અનેક રોગને જન્મ આપે છે. ખાસ કરીને કોરોના પીડિતો માટે તે પ્રાણઘાતક સિદ્ધ થાય છે.
રાજ્ય સરકારને મધ્યસ્થીના અધિકારથી વંચિત રાખવા આ વટહુકમને એકતરફી સાબિત કરે છે. બીજા શબ્દોમાં આરોપીને રાજ્ય સરકાર પાસેથી કોઈ પ્રકારની સહાયતા પણ નહીં મળી શકે. પ્રસ્તાવિત વટહુકમમાં કોઈ કુશળ કૃષિ નિષ્ણાત કે કૃષિ વૈજ્ઞાનિકને પણ સામેલ કરાયા નથી,
જે સમસ્યાને સમજી-વિચારીને તેના પર સૂચન કરી શકે.
પ્રદૂષણ ચિંતાનો વિષય
હા, પ્રદૂષણ ચિંતાનો વિષય છે, પરંતુ તેના માટે ભારેભરખમ દંડ કે પાંચ વર્ષની જેલ તેનું કાયમી સમાધાન નથી. સમસ્યાનું નિરાકરણ તેના યોગ્ય ઉપચારથી જ શક્ય બનશે. ખેડૂત આખા દેશનું પેટ ભરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી છે કે અંગત સ્વાર્થ અને રાજકીય ભાવનાઓથી ઉપર ઊઠીને તમામ ગ્રામ પંચાયતમાં ગરીબ ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી તેમજ સુવિધાઓ ફ્રીમાં આપવી જોઇએ. સસ્તા દરની સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી પણ લાભ થઇ શકે છે. ક્યાંક એવું ના થાય કે પહેલાં જ ત્રણ કૃષિ કાયદાઓ સામે લડી રહેલા અન્નદાતાનો આક્રોશ લાવા બનીને ફૂટી નીકળે.•