લોકસભા ચૂંટણીનો જંગ હજુ હમણા જ શાંત થઈ ગયો છે પરંતુ આ લોકશાહી દેશમાં ચૂંટણીની શાહી ક્યારેય સુકાઈ તેમ નથી. દેશમાં જ નહીં પરંતુ આપણા રાજ્યનાં કોઈને કોઈ ખૂણે દર મહીને ચૂંટણીનો શોર તો ગૂંજતો જ રહેતો હોય છે. ત્યારે હવે રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીનાં પડઘમ ગૂંજવા લાગ્યાં છે. પ્રતિષ્ઠા મજબૂત કરવાના અને આબરુ સાચવી લેવાનો આ જંગ રાજ્યસભાની બે સીટ માટે ખેલાવાનો છે. ત્યારે કેવો ગરમ છે રાજકીય પાર્ટીનો આંતરિક માહોલ જોઈએ આ અહેવાલમાં.
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઇ ગયું છે. રાજ્યસભાની 2 બેઠકને લઈને હાલ ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ છે. આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાનાં સભ્યપદેથી રાજીનામું આપવું પડશે.
બંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાય તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ભાજપને પાછી બંને બેઠક મેળવવા 11 મતની જરૂર છે, ત્યારે તેવી સ્થિતિમાં BJPએ કોંગ્રેસના 11 MLAનાં મત ઓછા કરવા પડે તેમ છે. જેના માટે ભાજપ હર સંભવ પ્રયાસ કરી રહ્યું છે એટલું જ નહીં રાજ્યસભામાં પાતાના બન્ને સભ્યો ચૂંટાઈ આવશે તેવો હુંકાર પણ ભરી રહ્યો છે.
એક તરફ ભાજપ કોંગ્રેસની વર્તમાન દુબળી સ્થિતિનો લાભ લેવા તલપાપડ છે તો કોંગ્રેસ પોતાના સભ્યોને પક્ષમાં જ ટકાવી રાખવા મથામણ કરી રહી છે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો પક્ષને ખરા તાકડે દગો દેવાની ફીરાકમાં છે અને ભાજપ આવા જ ધારાસભ્યો પર નજર રાખીને બેઠું છે એટલે જ સોમવારે જ્યારે રાધનપુરના કોંગ્રેસમાં અસંતુષ્ટ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તો કોંગ્રેસને રાજ્યસભાના સમીકરણોમાં ઉથલપાથલ થતી દેખાઈ.
કેમકે કોંગ્રેસમાંથી અલ્પેશ જ નહીં અલ્પેશના પગલે પગલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ કોંગ્રેસ છોડી જશે તેવો કોંગ્રેસમાં ડર પેઠો છે અને આ ડરનું કારણ રાજ્યસભા ચૂંટણીમાં ઘટતું સંખ્યાબળ છે કેમ કે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભામાં પોતાનું વજૂદ સાચવવા પોતાના ધારાસભ્યોને કોઈપણ હિસાબે ગુમાવવા પાલવે તેમ નથી જો કે, કોંગ્રેસનું માનવું છે કે અલ્પેશ સિવાય કોંગ્રેસમાં બધું સલામત છે અને ભાજપ પૈસા અને પદની લાલચ આપી કોંગ્રેસને તોડવાનું કામ કરી રહી છે
લોકસભા સાથે જ યોજાયેલી વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થયું છે જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતાં તેમના રાજીનામાથી ભાજપનાં ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થયા છે જ્યારે દ્વારકા , મોરવાહડફ અને તાલાળા વિધાનસભા બેઠકો વિવિધ કારણસર ખાલી છે તો સામે પક્ષે, જો કોંગ્રેસમાં જો ઘીના ઠામમાં ઘી ઢળી રહે અને કોંગ્રેસના સાથી એવા બીટીપીના 2 અને એનસીપીના 1 ધારાસભ્ય રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષે રહે તો કોંગ્રેસનાં એક સભ્યની જીત કઠિન નથી પરંતુ જો 2017માં રાજ્યસભાના મતદાનની જેમ કોંગ્રેસમાં ક્રોસવોશટગ થાય તો રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું નામોનિશાન મટી શકે છે.