જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકીઓ સાથેની અથડામણ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક હાઇ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોવાલ, વિદેશ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે, જણાવવામાં આવી રહ્યું છે. આ આતંકીઓ ભારતમાં 26/11 જેવી બીજી કોઇ ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
ભારતમાં 26/11 જેવી બીજી કોઇ ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હોવાનો થયો ખુલાસો
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી હાઇ લેવલ બેઠક
આપને જણાવી દઈએ કે બાતમીના ઇનપુટ બાદ પોલીસે નગરોટા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને દરેક સ્થળે વાહનોની જોરદાર ચેકીંગ કરવામાં આવી હતી. આ દરમિયાન, સવારે 4.20 ની આસપાસ શ્રીનગર-જમ્મુ હાઇવે પર કાશ્મીર તરફ જઇ રહેલી એક ટ્રકે સૈનિકોને ચેકીંગ માટે રોક્યા હતા. પરંતુ ચેકીંગ દરમિયાન તે અટકી જતાં ટ્રકનો ચાલક ભાગ્યો હતો.
ટ્રકમાં છૂપાયેલા હતા આંતકીઓ
નોંધનીય છે કે, સુરક્ષા દળોએ ટ્રકની તપાસ કરી તો તેમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. સુરક્ષાદળોએ આ આતંકીઓનો પીછો કર્યો હતો અને જવાબી કાર્યવાહી કરી હતી. જાંબાજ સૈનિકોની લગભગ ત્રણ કલાકની કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓ ઠાર માર્યા હતા. ફાયરિંગને કારણે ટ્રકમાં આગ લાગી હતી. તેમાં મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.
ચારે આતંકીઓ જેશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું
જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, બાતમીના ઇનપુટ પર ચેકીંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રકની તલાશી લેતા ફાયરિંગ શરૂ થયું હતું. આ એન્કાઉન્ટર 3 કલાક સુધી ચાલ્યું. પોલીસ, સીઆરપીએફ અને આર્મીના એકમોએ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચારે આતંકીઓ જેશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત છે.
સેનાનું એક મોટું સફળ ઓપરેશન
આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે કહ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા આ એક પ્રકારે ખૂબ જ સફળ ઓપરેશન હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દુશ્મનો અને આતંકીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે, જે અમારી તરફ ઘુસણોખોરી કરવાનું વિચારી રહ્યા હશે તેમને આ પ્રકારે પહોંચી વળાશે, પરત ફરવા નહીં દઇએ.