રાજ્યસભામાં ચર્ચા દરમિયાન પીએમ મોદી(Narendra Modi) એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું કે, 'પહેલા કરતા વધારે જનસમર્થન અને વિશ્વાસ સાથે અમે બીજીવાર દેશની સેવા કરવાનો અવસર દેશવાસીઓએ આપ્યો છે. હું સૌનો આભાર પ્રગટ કરું છું. દાયકા બાદ દેશે એક મજબુત જનાદેશ આપ્યો છે.
એક સરકારને ફરી પાછી લાવી છે અને પહેલાથી વધારે શક્તિ આપી લાવ્યા છે. ભારત જેવા લોકતંત્રમાં દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે આપણો મતદાર કેટલો જાગરુક છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશનો નાગરિક દેશ માટે નિર્ણય કરે છે, એ ચૂંટણીમાં સ્પષ્ટ જોઇ શકાય છે. 2019ની ચૂંટણી એક પ્રકારે પાર્ટીથી વધારે દેશની જનતા લડી રહી હતી. જનતા ખુદ સરકારના કામોની વાત લોકો સુધી પહોંચાડતી હતી'.
પીએમ મોદીએ કહ્યું કે, 'જેને લાભ ન મળ્યો એ પણ વાત કરી રહ્યો હતો કે એ વ્યક્તિને લાભ મળ્યો છે તો મને પણ લાભ મળશે. આ વિશ્વાસની એક મહત્વપૂર્ણ વિશેષતા છે. પીએમ મોદીએ કહ્યું કે, આટલા મોટા જનાદેશને કેટલાક લોકો કહી રહ્યા છે કે આપ ચૂંટણી જીતી ગયા પરંતુ દેશ ચૂંટણી હારી ગયો. હું સમજુ છું કે, એથી વધારે ભારતના લોકતંત્ર અને જનતા જનાર્દનનું કોઇ અપમાન ન હોઇ શકે. હું પુછવા માંગુ છું કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયું? શું રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્યારેક ગૃહમાં અમે પણ 2 રહી ગયા હતા. અમને 2 અથવા 3 બસ, કહીને અમારો મજાક ઉડાવવામાં આવતો હતો. પરંતુ અમને કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો. દેશની જનતા પર વિશ્વાસ હતો. અમારામાં પરિશ્રમ કરવાની પરાકાષ્ઠા હતી, અમે પાર્ટીને ફરી ઉભી કરી. ઈવીએમને દોષ નહોતો આપ્યો.