પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં પ્રચાર માટે પીએમ મોદી ધુંઆધાર રેલીઑ કરી રહ્યા છે ત્યારે આજે તેમણે મમતા બેનર્જીના ગઢમાં સભા સંબોધી હતી.
બંગાળમાં પીએમ મોદીની જનસભા
ખેડૂતોને 18 હજાર રૂપિયા આપવાનો વાયદો
મમતા દીદી પર ખેડૂત વિરોધ હોવાનો લગાવ્યો આરોપ
સૌથી પહેલા ખેડૂતોને આપીશું 18 હજાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે આસામ અને બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. બંગાળના તારકેશ્વરમાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી જેમાં જનતાથી વાયદો કર્યો કે બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ સૌથી પહેલા ખેડૂતોના હીતમાં કામ કરવામાં આવશે. પહેલી જ કેબિનેટમાં બંગાળમાં પીએમ કિસાન સમ્માન નિધિ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. પીએમ મોદીએ વાયદો કર્યો કે દરેક ખેડૂતોને જે પૈસા દીદીએ ખેડૂતોને નથી આપ્યા તે દરેક પૈસા જોડીને કુલ 18 હજાર રૂપિયા આપવામાં આવશે.
મોદીએ મમતા બેનર્જીને લીધા આડે હાથ
પીએમ મોદીએ કહ્યું કે બંગાળના ખેડૂતો સાથે દીદીએ પોતાની નફરત દેખાડી છે. આખા દેશમાં દસ કરોડથી વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. બૅન્ક ખાતામાં સીધી રકમ જમા થઈ રહી છે જેમાં કોઈ કટમની નહીં, ના કોઈ લાંચ-રૂશ્વત. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઇ EVMને દોષ આપવા લાગે ત્યારે સમજી જવું જોઇએ કે નક્કી તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે.PM મોદીએ કહ્યું કે, ક્રિકેટના મેદાનમાં કોઇ ખેલાડી વારંવાર અમ્પાયર પર સવાલ ઉઠાવે તો સમજી જવું જોઇએ કે, તેની રમતમાં કોઇ ખામી છે.
બંગાળના લોકો ભાજપની સરકાર ઇચ્છી રહ્યા છે : PM
PM મોદીએ કહ્યું કે, બંગાળના લોકો દરેક પરીક્ષામાં પાસ થઇ જાય છે. ફેઇલ તો તેવા લોકો થાય છે જેમણે બંગાળનો વિકાસ નથી કર્યો. આજે બંગાળમાં લોકોએ ફરીએકવાર પરિવર્તનની કમાન સંભાળી છે. સોનાર બાંગ્લાના વિઝનમાં અહીંના લોકો ભાજપની સરકાર બનાવવાનું ઇચ્છી રહ્યા છે. માટે અહીંના લોકોએ પહેલા 2 તબક્કાની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો નક્કી કર્યો છે. 2 મેના રોજ પરિણામ આવશે જેની ઝલક અમે 2 દિવસ પહેલા નંદીગ્રામમાં જોઇ ચૂક્યા છીએ.
બંગાળમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન
બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચ અને બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે થઇ ચૂક્યું છે. હવે 6 તબક્કામાં મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ અહીંની 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની 42 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી. એટલા માટે આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે.
બંગાળમાં મમતાએ આયુષ્યમાન ભારત યોજના લાગુ થવા દીધી નહીં
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્રની દરેક યોજના સામે દીદી દિવાલ બનીને ઉભી રહી છે. ગેરંટી વગર ગરીબોને લોન આપવાની સ્કીમ, આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીનો ઇલાજ કરવાની યોજના લાગુ છે. પરંતુ મમતા બેનર્જી આ બધુ જ બંગાળમાં લાગુ થવા દેતા નથી.