ગાંધીનગરઃ PM મોદી આગામી 23મી ઓગસ્ટના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાત લેશે. જેમાં PM મોદી રાજકીય સોગઠા ગોઠવશે. દિલ્હી રવાના થતા પહેલા PM મોદી તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને ડિનર પણ લેશે અને ડિનર ડિપ્લોમસીમાં ભાગ લેશે.
જેમાં તેઓ એક કલાક સુધી ભાજપના નેતાઓ સાથે પરામર્શ કરશે. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિની પણ ચર્ચા કરી ભાજપના નેતાઓને માર્ગદર્શન પણ આપશે.
23મી ઓગસ્ટે PM મોદી સવારે 9.30 વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. વલસાડમાં તેઓ બાર વાગ્યા સુધી કાર્યક્રમમાં રોકાશે. વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી જૂનાગઢ જવા રવાના થશે.
બપોરે 2 વાગ્યાની આસપાસ PM મોદી જૂનાગઢ પહોંચશે. જૂનાગઢમાં કાર્યક્રમ પૂર્ણ કરીને 3 વાગે ગાંધીનગર જવા રવાના થશે અને FSLના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. FSLની બેઠક પૂર્ણ થયા બાદ PM મોદી બેઠક કરશે અને રાતે 8.30 વાગે દિલ્હી જવા માટે રવાના થશે.