1 કરોડ લિટર દૂધ કરી શકાશે પ્રોસેસ તો 60 મેટ્રિક ટન ચીઝનું થશે ઉત્પાદન
151 વીધા જમીનમાં પ્લાન્ટ તૈયાર, બટાકાની પ્રોડક્ટ માટે પ્લાન્ટ તૈયાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ સમયે બનાસ ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ઉદ્ઘાટન પહેલાં આ પ્લાન્ટ પૂર્ણ રીતે તૈયાર થઇ ગયો છે. પ્લાન્ટના ઉદ્ઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 151 વીઘા જમીનમાં આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાન્ટની 100 ટનની ઉત્પાદન ક્ષમતા છે. પ્લાન્ટમાં રોજીંદુ 1 કરોડ લિટર દુધ પ્રોસેસ થઇ શકે એટલો મોટો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં ચોકલેટ, આઇસક્રીમ, બટર, ચીઝ પણ બનશે.
પ્લાન્ટની 100 ટનની ઉત્પાદન ક્ષમતા
બનાસ ડેરીના પ્લાન્ટમાં બટાકાની પ્રોડક્ટ પણ બનાવવામાં આવશે. બટાકાની ફ્રોઝન ફુડની ડિમાન્ડ હોવાને કારણે આ પ્રોડક્ટ પણ અહીં બનાવવામાં આવશે. ફ્રેન્ચ ફ્રાઇઝ, બર્ગર, આલુટીકી જેવી ફ્રોઝન પ્રોડક્ટ બનાવી દેશ વિદેશમાં વેચવામાં આવશે. ખેડૂતોને બટાકાના સારા ભાવ મળી રહે તે હેતુથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
બનાસ ડેરી ચીઝ પ્લાન્ટની ક્ષમતા 30 મેટ્રિક ટન પ્રતિદિનથી વધારીને 60 મેટ્રિક ટન પ્રતિ દિન તેમજ પાવડર પ્લાન્ટની ક્ષમતા 4.5 લાખ લીટર પ્રતિ દિનથી વધારીને 9 લાખ લિટર પ્રતિ દિન કરવામાં આવ્યું છે. નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ ખીમાણા રતનપુરા રાધનપુર તેમજ થાવર મુકામે કરવામાં આવશે. ત્યારે આ નવા અત્યંત આધુનિક પ્લાન્ટનું 19 એપ્રિલે દેશના વડાપ્રધાન દ્વારા તમામ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે જિલ્લાના પશુપાલકોમાં ખુશી છે. ત્યારે આ ઉદ્ઘાટનમાં મહિલા સંમેલનમાં 5 લાખથી વધુ પશુ પાલકો હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી તેમજ ડેરી ટીમ સહિત સરકારી વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનની તૈયારીઓને લઇને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા હવે ગુજરાતમાં વધી ગયાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અમદાવાદ આવીને ખેલ મહાકુંભ 2022 નો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. ત્યારે હવે ખુદ વડાપ્રધાન મોદી પણ આગામી 18મી એપ્રિલે ગુજરાત આવશે.
19મી એપ્રિલે બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. બાદમાં તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે. જ્યાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત કરશે. 18મી એપ્રિલે વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 19મી એપ્રિલે સવારે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેમજ મહિલા પશુપાલકોના સંમેલનમાં પણ PM મોદી સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે.
20 એપ્રીલે મહાત્મા મંદિરમાં હાજરી આપશે PM મોદી
20મી એપ્રિલે PM મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં તેઓ આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ દાહોદ જશે. જ્યાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. બાદમાં અમદાવાદ પરત ફરી રાત્રે પીએમ મોદી અમદાવાદથી દિલ્હી પરત ફરશે.