દેશમાં એક તરફ કોરોના સંકટ વધી રહ્યું છે, કોરોનાથી મોતના આંકડાઓ પણ ચિંતા વધારી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તાબડતોબ એક બેઠક બોલાવી છે.
PM મોદી આજે મહત્વની બેઠક કરશે
વેક્સિનેશન કામગીરી મુદ્દે કરશે મંથન
ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ બેઠકમાં રહેશે હાજર
કોરોનાને લઈને કેન્દ્ર સરકારની ચિંતા વધતા દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવાની છે. આ બેઠક આજે રાતે 8 વાગે યોજાશે જેમાં મોદી સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ જોડાશે.
પહેલા પણ યોજી હતી એક બેઠક
PM મોદીએ બોલાવેલી આ ખાસ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનને લઈને મંથન કરવામાં આવશે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ આરોગ્ય મંત્રાલય, સ્ટીલ મંત્રાલય, માર્ગ અને પરિવહન મંત્રાલય સહિત અનેક મંત્રાલયો અને વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
24 કલાકમાં નવા 2,34,692 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 2,34,692 નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોના મોત થયા છે. જ્યારે નવા 1,23,354 દર્દીઓ સાજા થયા છે.આમ, દેશમાં કુલ કેસ 1,45,26,609 પર પહોંચ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,26,71,220 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 16,79,740 એક્ટિવ કેસ છે અને 1,75,649 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 11,99,37,641 વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યા છે.
આ 5 રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા છે અને ઉત્તરપ્રદેશમાં 27,360 નવા કેસ. દિલ્હીમાં 19,486 નવા કેસ નોંધાયા છે. જ્યારે છત્તીસગઢમાં 14,912 નવા કેસ અને કર્ણાટકમાં 14,859 નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો ગુજરાતમાં 8920 નવા કેસ નોંધાયા અને 94 દર્દીઓના મોત થયા છે.