ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો સમય હવે નક્કી કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીને મંદિર નિર્માણ શરુ કરવા અને ભૂમિપૂજન માટે ત્રણ અને પાંચ ઓગસ્ટ એમ બે તારીખ આપવામાં આવી હતી જેમાંથી મીડિયા અહેવાલ અનુસાર હવે પાંચમી તારીખે પીએમ મોદી અયોધ્યા જશે.
5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન
ગઇકાલે ટ્રસ્ટે PM મોદીને મોકલ્યુ હતું નિમંત્રણ
PMના અયોધ્યા પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત બાકી
અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે ભૂમિ પૂજન કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ટ્રસ્ટ તરફથી વડાપ્રધાન મોદીને 3 ઓગસ્ટ અને 5 ઓગસ્ટ મેં બે તારીખો આપવામાં આવ હતી જેમાંથી પાંચ તારીખ નક્કી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદી પોતે ભૂમિ પૂજનમાં પહોંચશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠક બાદ જ આ તારીખો નક્કી કરવામાં આવી હતી. શનિવારે સર્કિટ હાઉસમાં થયેલ બેઠકમાં ચંપત રાય મુખ્ય સચિવ અવનીશ અવસ્થી, કામેશ્વર ચૌપાલ, નૃત્યગોપાલદાસ, ગોવિંદ દેવ ગીરી મહારાજ અને દીનેન્દ્ર દાસ સહીત બીજા ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સદસ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે રામ મંદિર 161 ફૂટ ઊંચું અને હવે ત્રણની જગ્યાએ પાંચ ગુંબજ રહેશે. વીએચપીએ જે મોડલ તૈયાર કર્યું છે તે જ મોડલથી રામ મંદિર બનશે પરંતુ તેની લંબાઈ અને ઊંચાઈ વધારી દેવામાં આવશે. મંદિર નિર્માણમાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. કોરોના વાયરસના કારણે મંદિર નિર્માણમાં વિલંબ થયો છે. પથ્થર મંગાવવા માટે પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પહેલા મણીરામ છાવણી મઠના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે હવે મંદિરનું નિર્માણ શરુ કરી દેવું જોઈએ. મહંત નૃત્યગોપાલદાસે પીએમ મોદીને મંદિરની આધારશિલા મૂકવા માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. સંતોની માગ હતી કે વડાપ્રધાન મોદી પોતે ત્યાં આવે અને મંદિર નિર્માણ શરુ કરવામાં આવે. પીએમ પહેલા જ આવવાના હતા પરંતુ કોરોના સંકટના કારણે તે થઇ શક્યું નહીં.