વુહાનઃ ચીન સાથેના સંબંધોને મજબૂત કરવા પ્રધાનમંત્રી મોદી હાલ ચીનના પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. શી જિનપિંગ સાથેની અનૌપચારિક મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ વુહાનમાં મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.
પીએમ મોદીએ ઉત્સાહથી શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન તેમણે ચીની પરંપરાને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ચીની પરંપરાઓને જાણવાની સાથે-સાથે અહીં પ્રધાનમંત્રી મોદીએ ઢોલ ડ્રમ અને ઘંટિડીઓ પણ વગાડી હતી.
શી અને મોદી સાંજે એક બીજી બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન બન્ને પક્ષોના પ્રતિનિધિમંડળ હાજર રહેશે. ત્યારબાદ શી જિનપિંગની આગેવાનીમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે.
ત્યાર બાદ બીજા દિવસે બન્ને નેતા ઇસ્ટ લેક જશે અને નૌકા વિહાર કરશે. આ દરમિયાન ઇસ્ટ લેક ગેસ્ટહાઉસમાં બન્ને વચ્ચે ચર્ચા પણ થશે.
ભારત અને ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું હતું. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે આંતરિક અવિશ્વાસનો મોટા-પાયે ઇતિહાસ રહ્યો છે. વર્ષ 2017માં ડોકલામ વિવાદને લઇને બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતી સર્જાઇ હતી.
જો કે ચીનના વુહાન શહેરમાં મોદી અને જિનપિંગ વચ્ચે આ પોતાની રીતે અનોખી મુલાકાત છે જે દ્વિપક્ષીય સંબંધોની નવી શરૂઆતનો સંકેત છે.
- પીએમ મોદીએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે આવી અનૌપચારિક મુલાકાતો અને સમિટ એક પરંપરાની જેમ થતી રહેવી જોઇએ. મને આનંદ થશે જો 2019માં ભારતમાં તેઓ આ રીતે અનૌપચારિક સમિટનું આયોજન કરે.
- આ પહેલા હુબેઇ મ્યૂઝિયમમાં રંગારંગ કાર્યક્રમોની પ્રસ્તુતિની સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
- પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતમાં બન્ને દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ મુલાકાતમાં હાજર રહ્યા. પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ચીન વિશ્વ શાંતિ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે બન્ને દેશ સાથે મળીને ચાલવા તૈયાર છે.
- મોદીએ કહ્યું કે ભારતીયો માટે ગર્વની વાત છે અને હું એવો પહેલો પ્રધાનમંત્રી છું જેની મહેમાનગતિ માટે તમે(શી જિનપિંગ) બે-બે વાર રાજધાનીથી બહાર આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ ભારત પ્રત્યે તમારો પ્રેમ અને સન્માન દર્શાવે છે.
પ્રધાનમંત્રી મોદીએ બેઠકને સંબોધતા કહ્યું કે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા વિશ્વને પ્રભાવિત કરે છે. કારણ કે બંને દેશમાં વિશ્વની 40 ટકા જેટલી આબાદી છે. ત્યારે બંને દેશોના લોકોએ આસપાસમાં સંપર્ક વધારવાની જરૂર છે. ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ એરાનો પ્રયાસ વિશ્વના હિતમાં હશે.