સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમી માટે ગૌરવની ક્ષણ
ખેલકૂદની દુનિયાના સૌથી મોટા મહાકુંભ એટલે ઓલિમ્પિકની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ વખતે ગુજરાતની છ દીકરીઓ મેદાનમાં ઊતરવાની છે ત્યારે દેશ માટે ગૌરવ વધારનાર એથલીટ તથા તેમના માતાપિતા સાથે આજે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો. ત્યારે અમદાવાદમાં આવેલ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકડેમી માટે પણ આજનો દિવસ ગૌરવની ક્ષણ લઈને આવી છે. સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી તાલીમ લેનાર દીકરી હવે વિશ્વભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.
સંસ્કારધામમાં કાર્યક્રમનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના એ રમતવીરોને સંબોધિત કર્યા કે જેવું જાપાનમાં રમાનાર ટોક્યો ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જઈ રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પરથી અલગ અલગ ખેલાડીઓ સાથે વડાપ્રધાને વાત કરી જેમાં ગુજરાતી ખેલાડીઓ પણ જોડાયા હતા. વડાપ્રધાનનો ખેલાડીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ ખેલાડીઓના પરિવારજનો સાથે સાંભળવાનું આયોજન સંસ્કારધામ ખાતે રાખવામાં આવ્યું હતું.
સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીનો PM મોદીએ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ પણ સંસ્કારધામનો ઉલ્લેખ કરતાં ઈલાવેનિલ સાથે સંવાદ કરતાં ઈલાવેનિલની આખી સફર વિશે સવાલ કર્યો હતો. પીએમ મોદીના આ સંવાદ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઈલાવેનિલ વાલારીવાનના માતા પિતા પણ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાં ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈને ભારતનું ગૌરવ વધાર્યું
નોંધનીય છે કે ઈલાવેનિલ વાલારીવાન શૂટિંગની પ્રતિસ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. ઈલાવેનિલ વાલારીવાન મૂળ તમિલ છે પરંતુ અમદાવાદમાં જ તેમનો પરિવાર વસવાટ કરે છે. ઈલાવેનિલ વાલારીવાને સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી જ શૂટિંગ માટેની તાલીમ પ્રાપ્ત કરી છે અને આજે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે. ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કરનાર છ દીકરીઓના માતાપિતાનું સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.
માતા પિતાએ શું કહ્યું?
વડાપ્રધાને ગુજરાતી ખેલાડી ઇલાવેનિલ સાથે વાર્તાલાપ કર્યો હતો, ઇલાવેનિલ અમદાવાદમાં રહે છે અને તેની ટ્રેનિંગ સંસ્કારધામ અને અમદાવાદ માં જ થઈ હતી. શૂટર ઈલાવેનિલના માતા - પિતા તેમજ અંકિત રૈનાના પિતા એ આપી હાજરી આપી હતી. પરિવારજનોએ વાતચીત કરતા જણાવ્યું કે આજે સમગ્ર દેશ દીકરી પર ગૌરવ લઈ રહ્યો છે. તેમને વિશ્વાસ છે કે ગુજરાતની દીકરી વિશ્વમાં નામ રોશન કરી ત્રિરંગો લહેરાવશે. શૂટર ઈલાવેનિલની માતા કે. સરોજાએ જણાવ્યું કે વડ્ડક્મ કહીને પીએમ મોદીએ શુભકામનાઓ આપી છે. પીએમના સંવાદથી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે. આજે ઈલાવેનિલની માતા હોવાનો ગર્વ છે, ખુશી થઈ છે કે મારી દીકરી દેશનું નામ રોશન કરી રહી છે. દેશનો તિરંગો જ્યારે અન્ય દેશોની વચ્ચે ઊંચાઈ પર જોવા મળશે અને રાષ્ટ્રગાન ગવાશે એ ક્ષણ ખૂબ જ સુખદ હશે. ઓલિમ્પિકમાં રમવાનું મારી દીકરીનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલ સંસ્કારધામની સ્પોર્ટ્સ એકેડમી અને સરકારની ખૂબ મદદ મળી રહી છે.
અંકિતા રૈનાના પિતા એ જણાવ્યું કે અંકિતા દિન પ્રતિદિન વધારે અપગ્રેડ થઈ રહી છે.તે વિમ્બલડન માં ભાગ લઈ ને આવી રહી છે અને હવે ઓલિમ્પિક માં જશે.અંકિતાએ નેશનલ રેકોર્ડ બનાવ્યા છે હવે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તરફ નજર છે.અંકિતાના પિતા આર.કે. રૈનાએ કહ્યું કે 4 વર્ષની હતી ત્યારથી જ અંકિતાએ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. અન્ડર 8 અને અન્ડર 10 નું ટાઇટલ 8 વર્ષે અંકિતાએ જીત્યું હતું. અંકિતાના કોચએ ત્યારે કહ્યું હતું કે તમારી દીકરીને આગળ ટેનિસ રમાડો, એ નામ રોશન કરશે. 13 વર્ષે અંકિતાએ ટેનિસ માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ શરૂ કર્યું.
અમદાવાદની ઇલાવેનિલ સાથે PM મોદીએ મણીનગરની યાદ વાગોળી
પ્રધાનમંત્રીના સંવાદમાં અમદાવાદની મણીનગરની પુત્રી ઇલાવેનિલ પણ જોડાઈ હતી. પીએમ મોદીએ ઇલાવેનિલની જુની યાદો વાગોળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળમાં મણીનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઇલાવેનિલની ટોક્યો ઑલ્મપિકમ માટે પસંદગી થઈ છે.
ગુજરાતની 6 દીકરીઓએ ભારતનું ગૌરવ વધાર્યુ
ખેલકૂદની દુનિયાના સૌથી મોટા મહાકુંભની ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે ટોક્યોમાં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવશે અને વર્ષોથી તૈયારી કરી રહેલા ખેલાડીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા થશે. આ વખતે ઓલમ્પિકમાં ગુજરાતની નારી શક્તિના દર્શન થશે. ગુજરાતના આટલા વર્ષના ઈતિહાસમાં પહેલી વાર છ ખેલાડીઓ ભારતનું પ્રતિનધિત્વ કરવા જઈ રહ્યા છે અને તેમાંય એક સાથે છએ છ દીકરીઓ ક્વોલિફાઈ થઈ છે. એવામાં આવતીકાલે ભારતથી ક્વોલિફાઈ થનાર દરેક ખેલાડીઓ તથા તેમના મા-બાપ સાથે પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમ સંવાદ કરવાના છે. ગુજરાતમાંથી ક્વોલિફાઈ થનાર દરેક પ્રતિસ્પર્ધીના માતાપિતા સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી જ પીએમ મોદી સાથે સંવાદમાં જોડાશે.