દેશમાં લોકડાઉનની જાહેરાત બાદથી જ રસ્તા પર ચાલી રહેલા શ્રમિકો અકાળે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશમાં થયેલા અકસ્માતમાં 24 લોકો જ્યારે છેલ્લા 10 દિવસમાં 99 પ્રવાસી શ્રમિકોએ વિવિધ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
ઉત્તરપ્રદેશના અકસ્માતમાં 24 શ્રમિકોના મોત
સરકાર રાહતકાર્યમાં તત્પરતાથી કામ કરી રહી છે : PM મોદી
સીએમ યોગીએ મૃતકો-ઈજાગ્રસ્ત માટે વળતરની જાહેરાત કરી
પીએમ મોદીએ સંવેદના પ્રગટ કરી
ઉત્તરપ્રદેશમાં વતન જવા માટે વલખા મારી રહ્યા શ્રમિકોનો મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. 24 મજૂરોની મોત પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું ઉત્તરપ્રદેશના ઓરૈયામાં થયેલ રોડ અકસ્માત અત્યંત દુખદ છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું 'સરકાર રાહતકાર્યમાં તત્પરતાથી કામે લાગી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું, સાથે જ ઈજાગ્રસ્ત લોકો વહેલા સાજા થાય તેવી પ્રાર્થના'
રોડ અકસ્માતમાં 24નાં મોત
પ્રારંભિક રિપોર્ટ અનુસાર શ્રમિકોને લઇને આવી રહેલી ડીસીએમને ટ્રકે ટક્કર મારતાં 24 લોકોનાં મોત થયા, જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ડીસીએમ રોડ પર સાઇડમાં ઉભી હતી ત્યારે ટ્રકે તેને ટક્કર મારી છે. ઔરેયાના એસપી સુનીતિ સિંહ અને અન્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
સીએમ યોગીએ વળતરની જાહેરાત કરી
ઉત્તરપ્રદેશના સીએમ યોગું આદિત્યનાથે અકસ્માત પર સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માતની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તને સારવાર મળે તેના આદેશ આપ્યા છે. આ સિવાય કાનપુરના કમિશનર અને આઈજીને તરત જ ઘટનાસ્થળ પર પહોંચી રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્ત લોકો માટે 50-50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.