PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જંગી જનસભાને સંબોધતા PM મોદીએ કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર કર્યા હતા.
સુરેન્દ્રનગરથી PM મોદીના કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર
હું તો સામાન્ય પરિવારનો સંતાન છું, મારી કોઈ ઓકાત નથી: PM
આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નથી લડતા, ગુજરાતની જનતા લડી રહી છે: PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન PM મોદીએ સુરેન્દ્રનગરથી સંબોધન કરતા કહ્યું કે, વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા. કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નાથી, વિકાસના કામોની ચર્ચા કરો.
કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ PM મોદીને ઓકાત દેખાડવાની વાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, 'તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. PM નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.'
આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM મોદી
વધુમાં કહ્યું કે, હું ઝાલાવાડમાં હેલિકોપ્ટરમાંથી ઉતર્યો કે તુરંત જ સંતોએ મને આશીર્વાદ આપ્યા, તે મારું સૌભાગ્ય છે અને હું સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય, ગુજરાતમાં આ વખતે મગફળીમાં ખેડૂતોને શું ભાવ મળ્યા! આશીર્વાદ આપજો અમને આશીર્વાદ આપજો, આ પદ માટે યાત્રા કરનારાઓને તો કપાસ અને મગફળીમાં અંતર જ ખબર નહીં હોય. બહારથી આવેલા લોકોને ખબર જ નથી.'
PM મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું કે, 'જેમને ભારતના લોકોએ પદ પરથી હટાવી દીધા છે, તેવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યાં છે પણ જેમને ગુજરાતને તરસ્યું રાખ્યું અને એવા નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને પદયાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા આપવાની છે. સુરેન્દ્રનગરમાં આજે જ્યાં-જ્યાં નજર પડે ત્યાં-ત્યાં કેસરિયા સાગર દેખાય છે.'
આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નથી લડતા, ગુજરાતની જનતા આ ચૂંટણી લડી રહી છે: PM મોદી
PM મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસીઓ કહેતા કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે જ નહીં ત્યારે હું કહેતો કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે અને હું કામ કરીને બતાવીશ. મે સુરેન્દ્રનગરની ધરતી પર આવીને શપથ લીધા હતા કે આ ધરતીને પાણીદાર બનાવી દઇશું કારણ કે અહીના લોકો પાણીદાર છે. સુરેન્દ્રનગરમાં હેન્ડપંપ અને ટેન્ક માફિયાઓનું રાજ હતું, નેતાઓના ભત્રીજાઓને જ ટેન્કર મળતા હતા. આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવાની ચૂંટણી બનવી જોઈએ. આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નથી લડતા, ગુજરાતની જનતા આ ચૂંટણી લડી રહી છે.'