બટાકાનાં મુદ્દે ખેડૂતો અને પેપ્સિકો કંપની વચ્ચેનાં વિવાદ શમવાનાં કોઈ સંકેત દેખાતા નથી. બટાકાનાં ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ બિયારણ અધિકારનાં ભંગ બદલ કરેલાં કેસ સામે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. હવે આ વિવાદનાં વમળમાં ખેડૂતોનાં સમર્થનમાં રાષ્ટ્રીય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે. ત્યારે જોઈએ પેપ્સિકો કંપની સામે કેવો છે ખેડૂતોનો લડાયક મૂડ.
બટાટાની ખેતી ખેડૂતોને પહેલાંની જેમ હવે વધારે વળતર નથી આપી રહી તેવી સતત ફરિયાદો વચ્ચે ખેડૂતો પર પડ્યાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. આ વખતે પણ વાત વળતરની છે પરંતુ એ બટાટાની કિંમતનાં વળતરની નથી. આ વખતે ખેડૂતોની કમર ભાંગી નાખનારા વળતરની વાત છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગયાં વર્ષે 5 અને ચાલુ વર્ષે 4 ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ પોતાનાં અધિકારનાં ભંગનો કોર્ટ કેસ કરીને ચાર ખેડૂતો પર એક-એક કરોડનો દાવો કર્યો હતો. કંપનીએ એવો દાવો કર્યો હતો કે, ખેડુતોએ એફ,સી.-5 પ્રકારનાં બટાકાનું વાવેતર કરી કંપનીનાં વિશિષ્ટ જાતનાં બટાકાનાં વાવેતરનાં હકનો ભંગ કર્યો છે.
ખેડૂતોએ કંપનીએ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવેલી ખાસ વેફર માટેની જાતનાં બટાકા ઉગાડ્યાં પછી કંપનીનાં સુપરવાઈઝરો દ્વારા કંપનીને નુકસાની થયાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ એવો આક્ષેપ કર્યો છે કે પેપ્સીકોનાં નામે રજિસ્ટર્ડ થયેલાં બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યાં છે. પેપ્સિકો કંપનીએ દાવો કર્યો છે કે, ચિપ્સના ઉત્પાદન માટે બટાકાની એફ.સી.-5 તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત 2001માં રજિસ્ટર્ડ કરાવી હતી. આ જાતનાં બટાકા ખેડૂતો ઉગાડી તેમનાં ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટનો એટલે કે આઇ.પી.આર.નો ભંગ કરી રહ્યાં છે અને કાયદાનો ભંગ કરી બટાકા બજારમાં વેચી પણ રહ્યાં છે.
જો કે ખેડૂતોએ પેપ્સિકો કંપનીનાં આક્ષેપોને ફગાવી દીધાં છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે, અમને ખોટી રીતે ફસાવાવમાં આવ્યાં છે. પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર કરેલા કેસોનાં કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂત કાર્યકરોનું કહેવું છે કે, ખેડૂતોને કોઈ પણ સંરક્ષિત જાતનું બિયારણ રોપવાનો, તેને ઊગાડવાનો અને તેને વેચવાનો પૂરો હક છે. ખેડૂતોને પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટિઝ એન્ડ ફાર્મર્સ રાઈટ દ્વારા આ અધિકાર મળેલો છે. ખેડુતોનું કહેવું છે કે, કંપનીએ રિજેક્ટ કરેલાં બટાકા અમે બજારમાં વેચ્યાં હતાં. આથી કંપનીએ તેમનાં પર કેસ કર્યો છે. એટલું જ નહીં તેમને આ કેસમાં સરકાર પાસે પણ મદદની માંગ કરી છે.
પેપ્સીકો કંપનીએ બટાકાનાં ઉત્પાદન અને વેચાણ માટે ગુજરાતનાં ખેડૂતો ઉપર કરેલા કેસો રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પાછા ખેંચાવે તે માટે ખેડૂતો સરકાર પાસે મદદ માગી રહ્યાં છે અને જો સરકાર આમાં મધ્યસ્થી નહીં બને તો રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા પેપ્સિકોની તમામ પ્રોડકટનો દેશવ્યાપી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેમ કે, ખેડૂતો પોતાનાં ઉપર થયેલાં આ કેસોને અત્યાચારનાં રૂપે જોઈ રહ્યાં છે. ખેડૂતોએ આ બાબતને પોતાનાં અધિકાર ઉપર તરાપ સમાન ગણાવી છે. જો કે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, મોડાસાનાં ધારાસભ્યએ રાજેન્દ્રસિંહ ઠાકોરે આ મામલે વિધાનસભામાં અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત કહી છે. આ સાથે જ તેમણે જરૂર પડે ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવાની પણ ખાતરી આપી છે.
આ ઘટનાને ખેતી સાથે જોડાયેલાં તજજ્ઞો ખેડૂતોનાં હક ઉપર તરાપ ગણે છે. તેમનું માનવું છે કે, ભારતમાં બીજની પેટન્ટ જ થઈ શકતી ત્યારે પેપ્સીકો દ્વારા માત્ર ખેડૂતોને દબાણમાં લાવવા અને ધમકાવવા માટે જ કેસ કરવામાં આવ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ વિવાદનો અંત કેવી રીતે આવે છે.