ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રાજકોટની મુલાકતા દરમિયાન મોટા નેતાએ કાર્યક્રમમાં હાજર ન રહેતા અનેક તર્કવિતર્ક
કુંવરજી બાવળિયા ન આવ્યા કાર્યક્રમમાં
સી આર પાટીલના કાર્યક્રમમાં ન દેખાયા બાવળિયા
સમગ્ર દિવસ દરમિયાન ન આવ્યા બાવળિયા
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમગ્ર દિવસ દરમિયાન રાજકોટની મુલાકાતે હતા. આખા દિવસના કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા એક પણ કાર્યક્રમમાં હાજર ન રહ્યા હતા. આખા દિવસ દરમિયાન કુંવરજી નારાજ રહેતા રાજકીય અટકળો વહેતી થઇ છે. ત્યારે કુંવરજી બાવળિયા મંત્રી પદ ગયા બાદ ભાજપની નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
પાટીલ આખો દિવસ રાજકોટમાં રહ્યા
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ CM રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. તો બીજી તરફ 20 નવેમ્બરના રોજ યોજાનારા સ્નેહમિલનમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હોવાનું ચર્ચાયું છે. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો.
મોટા નેતા ક્યાંય ન દેખાતા અનેક તર્કવિતર્ક
આ અગાઉ રાજકોટમાં 15 નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ થયો હતો. જો કે સમગ્ર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે કોઇપણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી. જે પણ છે, તે વ્યક્તિગત મુદ્દા હશે. આ તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે. કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી છે. વિવાદના મધપૂડાને ડામવા વિજય રૂપાણીને લઈને પાટીલે કહ્યું હતું કે અમારા સ્ટાર પ્રચારકમાં વિજય રૂપાણી છે અને રહેશે..
પાટીલે અનેક નેતાઓની લીધી મુલાકાત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટ -જામનગરની મુલાકાતે હતા.સવારે જ એરપોર્ટ પર કાર્યકરોના ધાડા,પાટીલને સત્કારવા ઉમટયા હતા. પ્રદેશ પરમુખ પાટીલે રાજકોટમાં ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે શુભેછા મુલાકાત કરી આશીર્વચન માંગ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે, ખોડલ ધામના અગ્રણી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલના ઘરે જઈને મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે, જસદણના એક પાટીદાર સમારોહમાં તમામ પાટીદાર અગ્રણીઓએ એક સૂરે માંગ કરી હતી કે, પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ. આ મુલાકાત દરમિયાન,શ્રી પાટીલે,નરેશ પટેલને કેસ પરત ખેંચાવા અંગે હૈયાધારણ આપી હોવાનું નરેશ પટેલે જણાવ્યું હતું. પાટીલ-પટેલ વચ્ચે બંધ બારણે યોજાયેલી આ બેઠકનો હેતુ કોઈ રાજકીય ના હોવાનો ઉલ્લેખ પણ નરેશ પટેલે કર્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું કે, પાટીદારો સામે કેસ ખેંચવાની વાતની મને જાણ હતી એટલે મે આભાર માન્યો છે.
કુંવરજી બાવળિયા ન આવ્યા કાર્યક્રમમાં
આમ પાટીલ આખો દિવસ રાજકોટમાં રહ્યા પણ આ દિગ્ગજ નેતાઓ ક્યાંય ન દેખાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, વિજય રૂપામી સહિત કુંવરજી બાવળિયા આખા દિવસમાં એકપણ કાર્યક્રમમાં ન દેખાયા ભાજપમાં ડખો છે તે ખુલીને સામે આવી રહ્યું છે..જો કે આ મુદ્દે કોઈ પણ ભાજપ નેતા કંઈ કહેવા તૈયાર નથી...