વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભામાં ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર
પરેશ રાવલે વલસાડના ગુંદલાવમાં જાહેર સભા સંબોધી
પરેશ રાવલે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર સાધ્યું નિશાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. ત્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ વલસાડ જિલ્લામાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. તેઓએ વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન પરેશ રાવલે રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યું હતું.
પરેશ રાવલના કોંગ્રેસ અને AAPના આકરા પ્રહાર
વલસાડના ગુંદલાવમાં પરેશ રાવલને સાંભળવા વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા હતા. પોતાના સંબોધનના પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધી રાજકારણમાં નહીં પરંતુ યાત્રામાં ચાલેઃ પરેશ રાવલ
પોતાની આગવી અદામાં પરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને કોંગ્રેસના નેતાઓ પર પણ કટાક્ષ કર્યા હતા. પરેશ રાવલે રાહુલ ગાંધીને રાજકારણમાં નહીં પરંતુ યાત્રામાં ચાલે તેવા ગણાવ્યા હતા. તો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પણ પરેશ રાવલે આકરા પ્રહાર કર્યા હતા અને અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા માણસ તરીકે ગણાવ્યા હતા.
રાજકારણમાં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએઃ રાવલ
જાહેર સભામાં પરેશ રાવલે કહ્યું હતું કે, 'આપણા એક ભાઈ નીકળા છે ભારત જોડો યાત્રા કરવા માટે, એ યાત્રામાં ચાલી શકે રાજકારણમાં ન ચાલે. યાત્રામાં ચાલવા માટે 25 હજારના શૂઝ જોઈએ, રાજકારણમાં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએ અને દિમાગ જોઈએ. મને તો ઘણીવાર નવાઈ લાગે છે કે કોઈપણ માણસ કંઈપણ કારણ વગર અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળો છે.'
અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા માણસ ગણાવ્યા
કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા પરેશ રાવલે વધુમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસની સાથે-સાથે બીજા એક ભાઈ પણ આવ્યા છે, મફત-મફત કરતા...એ ભૂલી જાય છે કે ભાઈ તું ખોટા ગામમાં આવ્યો છે મફત-મફત કરવા. આ ગુજરાતીઓ છે, પથ્થરને પાટું મારીને પાણી કાઢે એવી આ પ્રજા છે. મને એ માણસ માટે ધિક્કાર છે, આ માણસે બાળકોના સોંગધ ખાધા હતા કે હું ક્યારેય રાજનીતિમાં નહીં આવું, હું સરકારી મકાન નહીં લઉં, હું સરકારી ગાડી નહીં લઉં. તેણે આ બધું લીધું છે.' ગુંદલાવમાં સભા દરમિયાન પરેશ રાવલે ઉપસ્થિત મેદનીને ભાજપના ઉમેદવાર ભરત પટેલને સમર્થન આપવા અને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી.