પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતાવાળા પાક.ના કાપડ મંત્રાલયે ભારત સરકારને કપાસની આયાત પરનો પ્રતિબંધ દૂર કરવાની વિનંતી કરી છે.
પાક.માં કાપડ માટેના કાચા માલની તીવ્ર અછત
ભારતે પાકિસ્તાન પર કાચા માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે
ભારત આયાત પ્રતિબંધ નહીં ઉઠાવે તો કાપડ ઉદ્યોગ થશે ઠપ્પ
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનો કાપડ ઉદ્યોગ કાચા માલની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યો છે અને તેને કોઈ પણ રીતે ભારતીય કાપડના કાચા માલની જરુર છે. જો ભારત તરફથી કાચો માલ ન મળે તો તેના કાપડ ઉદ્યોગનું ઠપ્પ થવું નક્કી છે.
કાપડ મંત્રાલયે ભારતમાંથી કાચા સૂતર અને કપાસની આયાત પરના પ્રતિબંધ દૂર કરવા ઈકોનોમિક કોર્ડિનેશન કમિટીની મંજૂરી માંગી છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કાપડ પરનો આ પ્રતિબંધ દૂર કરવા માટે અમે એક અઠવાડિયા અગાઉ ઈસીસીને વિનંતી કરી ચૂક્યા છઈએ. ત્યાર બાદ કોર્ડિનેશન કમિટિનો નિર્ણય વિધિસરની મંજૂરી માટે ફેડરલ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કોમર્સ અને ટેક્સટાઈલ મંત્રાલયના ઈન્ચાર્જ પીએમ ઈમરાન ખાને ઈસીસી સમક્ષ સમરી રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
કપાસની ગાંસડીઓના કાચા માલની તીવ્ર અછત સર્જાઈ
કપાસની ગાંસડીઓના કાચા માલની તીવ્ર અછત સર્જાઈ હોવાથી પાકિસ્તાનને ભારતને આ વિનંતી કરવી પડી છે. જોકે ભારત સરકાર પાકિસ્તાનની આ વિનંતી માન્ય રાખે છે કે નહીં તે તો આવનારા સમયમાં ખબર પડશે. ઉલ્લેખનીય છે કે 2019 માં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પાકિસ્તાને ભારત સાથેનો વેપારી નાતો તોડી નાખ્યો છે. જ્યારથી ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરી નાખ્યો છે ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને તેણે ભારતની વિરૃદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા તેમ છતાં પણ તેને સફળતા મળી નહોતી. મે 2020 માં પાકિસ્તાને ભારતીય કાચા માલ અને દવાઓની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો જેને કારણે દેશમાં કોવિડ મહામારીની સામે લડવામાં મદદ મળી શકે અને મહામારીને પગલે દેશમાં દવાઓની કોઈ અછત ન સર્જાય.