આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં પાકિસ્તાને એલઓસી પર ૩,૧૮૬ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે છેઃ જમ્મુ સરહદ પર રહેતા લોકો માટે આમ જીવન જીવવું પણ દુષ્કર બન્યું
પાકિસ્તાને એલઓસી પર ૩,૧૮૬ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન
છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે વખત બની ઘટના
ભારતને ઉશ્કેરવાની પાકિસ્તાનની હરકત
ઘણી વખત એવું લાગે છે કે સરહદ પર ઉત્પાત મચાવીને ભારતને તંગ કરવું અને ઉશ્કેરવું એ જ પાકિસ્તાનનું એકમાત્ર રણનૈતિક લક્ષ્ય બની ગયું છે. એ સમજવું આજે પણ ખૂબ મુશ્કેલ છે કે વગર કોઈ કારણે પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધવિરામનો ભંગ કેમ થાય છે અને આપણા દેશનાં સૈન્ય દળોએ શા માટે હંમેશાં સતર્ક જ રહેવું પડે છે.
કેટલીક વખત આવી અથડામણમાં આપણી સેનાને પણ નુકસાન થાય છે પણ મોટા ભાગે તો આવી ‘નાપાક’ હરકતોનું પરિણામ પાકિસ્તાનના સૈનિકોએ જ ભોગવવું પડે છે. એટલું તો નક્કી છે કે સરહદ પર પાકિસ્તાની સૈનિકો વગર કોઈ કારણે જ અચાનક ગોળીબાર શરૂ કરી દે છે તો તેની પાછળ હંમેશાં ઉચ્ચ સ્તરેથી આપવામાં આવેલા આદેશ જ જવાબદાર હોય છે.
યુદ્ધવિરામનું ઉલ્લંઘન બની સામાન્ય ઘટના
કોઈપણ દેશની સરહદ એવી સંવેદનશીલ જગ્યા હોય છે, જ્યાં સાવ મામૂલી બિનજવાબદાર હરકત પણ બંને પક્ષ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી કરવા માટે પર્યાપ્ત હોય છે. આમ છતાં પણ પાકિસ્તાનને જાણે સુધરવું જ ના હોય તેવું લાગી રહ્યું છે. તે હંમેશાં ભારતને, ભારતની નેતાગીરીને અને ભારતના સૈન્યને ઉશ્કેરવાની કોશિશ કરતું રહે છે. એલઓસી પરથી થતી આતંકવાદીઓની ઘૂસણખોરી પણ ભારત માટે માથાનો દુખાવો બની ગઈ છે. આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી માટે પાકિસ્તાની સૈન્ય જ્યારે કવર ફાયરિંગ કરે છે ત્યારે ત્યારે બંને દેશ વચ્ચે તણાવ વધી જાય છે.
જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન હવે સામાન્ય વાત બનતી જાય છે. સરહદ પરના દરેક સંવેદનશીલ પોઈન્ટ પર ભારતીય સેના અને સુરક્ષાદળો તહેનાત છે અને સતત પાકિસ્તાન પર બાજનજર રાખે છે છતાં આતંકીઓ અને પાકિસ્તાની સેનાના હુમલા રોકી શકાયા નથી.
સર્જિકલ સ્ટ્રાઈકનો છૂપો ડર છે પાકિસ્તાનમાં
ભારત ક્યારેય પણ યુદ્ધવિરામનો ભંગ કરીને હુમલાની શરૂઆત કરતું નથી પણ જ્યારે સરહદ પારથી સતત ઉશ્કેરણીજનક વ્યવહાર ચાલુ રહેતો હોય ત્યારે તેનો જડબાતોડ જવાબ આપવો પણ જરૂરી બની જાય છે. ક્યારેક ક્યારેક દુશ્મન આપણી ખાનદાની અને મૌનને કાયરતા ના સમજી લે એ માટે પણ તેને પાઠ ભણાવવો પડે છે.પાકિસ્તાનને હજુ આ તમામ હરકતોના કારણે જ ભારત ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈક કરશે તેવો છૂપો ડર હંમેશાં ધ્રુજાવી રહ્યો છે. ભારતની યુદ્ધની રણનીતિ અને વ્યૂહરચના એટલી મજબૂત હોય છે કે પાકિસ્તાનને તેનો કોઈ તોડ આજદિન સુધી મળ્યો નથી.
ઘૂસણખોરીના કારણેને સ્થાનિકોની સ્થિતિ કથળી
સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્ષ ૨૦૦૩માં ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે થયેલી સંઘર્ષ વિરામ સમજૂતીનાં આટલાં વર્ષ પછી પણ પાકિસ્તાનને હજુ સુધી તેની અગત્યતા સમજાઈ નથી. સ્થિતિ એવી છે કે આ વર્ષના જ સપ્ટેમ્બર સુધીમાં પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર ૩,૧૮૬ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે છે. પાકિસ્તાનની આ હરકતના કારણે જમ્મુ સરહદ પર પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકો માટે આમ જીવન જીવવું પણ દુષ્કર બની ગયું છે.
આ વિસ્તારમાં હવામાન ખરાબ હોવા છતાં પણ તેમણે હંમેશાં ગોળીબાર અને તેનાથી ઉદભવતી પરિસ્થિતિ માટે તૈયાર જ રહેવું પડે છે. ઘણી વખત અચાનક જ તેમણે પોતાનાં ઘર છોડીને નાસવું પણ પડે છે. સરહદ પારથી અવારનવાર થતી ઘૂસણખોરીના કારણે આ લોકોની હાલત વધુ ને વધુ કથળતી જાય છે.
સમસ્યા એ પણ છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર મોટા ભાગે કાશ્મીરનો જ રાગ આલાપતા રહેતા પાકિસ્તાનને કદાચ સરહદ પર પોતાની સેના દ્વારા કરવામાં આવતી આ પ્રકારની દુષ્ટ પ્રવૃત્તિઓ યાદ રહેતી નથી. એક લોકતાંત્રિક દેશ હોવાના કારણે ભારત હંમેશાં શક્ય હોય તેટલું ધૈર્ય જાળવી રાખે છે પણ એક દેશ પાડોશીની આ પ્રકારની હરકતો ક્યાં સુધી સહન કરશે તે પણ અગત્યનો સવાલ છે. સહન કરવાની એક હદ હોય છે અને ભારતે કદાચ હદથી પણ વધુ સહન કરી લીધું છે. હવે જો પાકિસ્તાન શાનમાં નહીં સમજે તો આવનારા દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલીભર્યા હશે તે વાત નક્કી છે.•