જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી વધુ જવાનો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત જવાનો હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઘટનાને લઈને દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો. દેશભરના લોકો મોડી રાત્રે રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં પણ સ્થાનિકોએ રસ્તા પર આવીને વિરોધ કર્યો હતો. મોરબીના ટંકારાના ઓટાળા ગામમાં રોડ પર ટાયરો સળગાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. લોકોએ પાકિસ્તાન હાય હાયના નારા પણ બોલાવ્યા હતા.
જ્યારે બીજી તરફ સુરતમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો. શહેરના અડાજણ વિસ્તારના સરદાર બ્રિજ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠ્ઠા થયા હતા. બ્રિજ પાસે સ્થાનિકોએ ટાયરો સળગાવીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
જ્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા મહાદેવ યુવક મંડળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકોએ કેન્ડલ અને ફુલહાર વડે શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઘટનામાં ભારતીય જવાનો શહીદ થયા છે. ત્યારે હવે લોકોએ ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે જણાવ્યુ હતુ.