ગુજરાતમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાયો છે. ત્યારે હવે રાજ્યમાં કોંગો ફિવરનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન મેણીયાને કોંગો ફિવર થતાં અમદાવાદ ખસેડાયા હતા.
સારવાર દરમિયાન મહિલાનું મોત
અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
કોંગો ફિવર અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
કોંગો ફિવરથી થયેલા મોત પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યુ હતું કે કોંગો ફિવરથી સુરેન્દ્રનગરમાં બે દર્દીઓના મોત થયા છે. જેમાં એક સ્થાનિક સ્થળે અને બીજા દર્દીનું અમદાવાદમાં મૃત્યુ થયું છે. આથી આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધર્યું છે.
તંત્ર આવ્યું હરકતમાં
તો આ તરફ આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગરના લીંમડીમાં સર્વેલન્સ ટીમ કાર્યરત છે. દર્દી અને તેના સંપર્કમાં આવેલા લોકોએ પણ કાળજી લેવાની જરૂર છે. તેમજ પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ ઇતરીથી સાવચેતી રાખવાની જરૂર છે.
કચ્છ અને અમરેલી પ્રભાવિત ક્ષેત્ર
આપને જણાવી દઇએ કે, 2017માં અમરેલીમાં 9 કેસમાં 3 મોત થયા હતા. તો આ સાથે જ વર્ષે સરેરાશ 2-3 લોકોના મોત થતા હોય છે ખાસ કરીને ગુજરાતમાં કચ્છ અને અમરેલી વિસ્તાર સૌથી પ્રભાવિત છે અને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.
કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર
આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાતો હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી એ રોગના મૂળ વાહક છે. જેથી આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે. આ ખતરનાક વાયરસ દર્દીને તાવ લાવે છે. આ સાથે માંસ પેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુ:ખાવો થવા લાગે છે અને કેટલાક દર્દીઓને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે અને ગળુ બેસી જાય છે.