શહેરના કેટલાક મોલ અને મલ્ટિપ્લેક્સમાં એક કલાક ફ્રી પાર્કિંગ કરવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો ઘટ સ્ફોટ થયો છે. સુપ્રીમ કોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સમાં એક કલાક ફ્રી પાર્કિંગ કરવા માટે ચુકાદો આપ્યો આપ્યો હતો પરંતુ અમદાવાદના કેટલાક મોલ અને મલ્ટિપ્લેક્સમાં એક કલાક કરતા ઓછા સમય માટે વાહન પાર્ક કર્યું હોય તો પણ તેની પાસે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
અર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝામાં દસ મિનિટ વાહન પાર્ક કર્યું હોય તો પણ રિફંડ અપાતું નથી
પાર્કિંગ ચાર્જની સ્લિપમાં વાહન જવાનો સમય પણ લખવામાં આવતો નથી
ડ્રાઇવ-ઇન રોડ પરના હિમાલયા મોલમાં પણ નિયમ વિરુદ્ધ લેવામાં આવે છે પાર્કિંગ ચાર્જ
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર ૨૦૧૯ મોલ અને મલ્ટિપ્લેકસમાં પાર્કિંગ ફી મામલે એક ચુકાદો આપ્યો હતો કે મુલાકાતીને એક કલાક ફ્રી પાર્કિંગ કરવા દેવું અને ત્યારબાદ વાજબી પાર્કિંગ ફી વસૂલ કરવી. એક કલાક પછી કાર માટે ૩૦ રૂપિયા અને ટુ વિહિકલ માટે દસ રૂપિયાનો ચાર્જ વસૂલવાનો આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ઘ બોઝે કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો ઉલ્લંધન કરી રહ્યા છે. રાણીપ ૧૩૨ ફુટના રિંગ રોડ પર આવેલા અર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા નામના મોલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઐસી તેસી કરીને લોકો પાસે પાસે પાર્કિંગ ચાર્જ વસૂલી રહ્યા છે. અર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝામાં એસ.ટી.સ્ટેન્ડ તેમજ શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સ છે. જેમાં પાર્કિંગનો કોન્ટાક્ટ નિવૃત્ત પીએસઆઇ બાબુભાઇ ચૌહાણનો છે.
કોઇપણ મુલાકાતી વાહન પાર્ક કરે તો તરત જ તેની પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. મુલાકાતીએ એક કલાક કરતાં ઓછા સમય સુધી પાર્કિંગ કર્યુ હોય તો પણ તેને રિફંડ આપવામાં આવતું નથી. આ સિવાય જે પાર્કિંગની સ્લિપ આપવામાં આવે છે તેમાં પણ આવવાનો ટાઇમ લખ્યો હોય છે પરંતુ જવાના ટાઇમનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. અર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા મોલ જેવી સ્થિતિ ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલની છે.
જેમાં કોઇપણ મુલાકાતી પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી લેવામાં આવે છે અને જો તે એક કલાક પહેલાં જતો રહે તો તેને રૂપિયા પરત આપવામાં આવતા નથી અને સ્લિપમાં પણ જવાનો ટાઇમ ઉલ્લેખ કરવામાં આવતો નથી. શહેરમાં બીજા એવા કેટલાય મોલ અને મલ્ટિપ્લેક્સ છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. તો બીજી તરફ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ વન મોલ, એક્રોપોલીસ મોલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવે છે.
જો કોઇ મુલાકાતી આ મોલમાં જાય તો પહેલાં તેને સ્લિપ આપવામાં આવે છે અને એક કલાક બાદ તેમની પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. સેટેલાઇટમાં આવેલ ગુલમોર પાર્ક અને દેવાર્ક મોલમાં તો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો જ નથી. આ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે ટ્રાફિક વિભાગ સાથે આ મામલે વાતચીત કરીને તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ટ્રાફિકની ડ્રાઇવના પગલે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને મોલ અને મલ્ટિપ્લેકસમાં ફ્રી પાર્કિંગ કરવા માટેનો આદેશ આપ્યો હતો. આ સિવાય વડોદરા અને સુરતમાં પણ કોર્પોરેશન દ્રારા મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોને નોટિસ આપીને ફ્રી પાર્કિંગ કરવાનો આદેશ કર્યો હતો. ફ્રી પાર્કિંગના મામલે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી.
જેમાં હાઇકોર્ટે એક કલાક ફ્રી પાર્કિંગ અને ત્યાર બાદ ૩૦ રૂપિયા કાર અને દસ રૂપિયા ટુ વિહિકલનો ચાર્જ વસૂલવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે આપેલા ચુકાદાને એક ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો જેમાં ડિવિઝન બેન્ચે મોલ મલ્ટિપ્લેકસમાં પાર્કિંગ કરવાનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટના ચુકાદાને સુરતની રાહુલરાજ મોલ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની સિગલ બેંચના જજે આપેલા ચુકાદાને યોગ્ય રાખ્યો હતો અને એક કલાક સુધી ફ્રી પાર્કિંગ કરવાનો આદેશ કર્યો હતો.