ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠતા જ સંગઠન પ્રભારી ડો રઘુ શર્માએ 'વાણી'નિયંત્રણમાં લાવવા માટેની ચેતવણીના સૂર ઉચ્ચાર્યા. નારાજગી વ્યક્ત કરેલા નેતા પાસે ખુલાસો મંગાશે
કોંગ્રેસના નારાજ નેતાઓ સામે થશે કાર્યવાહી
ખુલાસો સંતોષકારક નહી હોય તો પગલાં
'નેતાએ સાર્વજનિક ટીપ્પણી ના કરવી' ડો. શર્મા
ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠતા જ ગુજરાત સંગઠન પ્રભારી ડો રઘુ શર્માએ 'વાણી'નિયંત્રણમાં લાવવા માટેની ચેતવણીના સૂર ઉચ્ચારી દીધા છે. અને નારાજગી વ્યક્ત કરી ચુકેલા બંને પ્રવક્તાઓનો ખુલાસો માંગવામાં આવશે. ગુજરાત કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે ટ્વીટ કરીને કેટલીક નારાજગી વ્યક્ત કરી હતી તો મનહર પટેલે તેની વાતને અનુમોદન આપ્યું હતું. આ જ મુદ્દે ગુજરાત સગઠન પ્રભારી નારાજ છે. તેમને કહ્યું કે, નારાજગી હોય તો પક્ષના ફોરમમાં રજુઆત કરવી જોઈએ. નેતા નાના હોય કે મોટા તેમણે સાર્વજનિક ટિપ્પણી ના કરવી જોઈએ. એક નોટીસ થકી ખુલાસો પૂછાશે અને તેનો સંતોષકારક ખુલાસો નહિ હોય તો કડક કાર્યવાહી કરાશે. આ પ્રવક્તા સામે શુ કાર્યવાહી કરવી તેનો નિર્ણય પ્રદેશ પ્રમુખ લેશે.
શું હતી ઘટના,કોણે વ્યક્ત કરી નારાજગી
ગઈકાલેજ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સોશિયલ મીડિયા દ્વારા નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના વધું એક પ્રવક્તા નારાજ જોવા મળ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ પક્ષ પ્રત્યે નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. જેમા પ્રભારીની મુલાકાત વખતેજ તેમણે રાજીનામું આપ્યું જેથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
ભરત દેસાઈએ આપેલા રાજીનામા બાદથી ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલો ડખો વધુ વણસ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રવક્તા ભરત દેસાઈએ પોસ્ટ કરીને પક્ષને અલવીદા કહી દીધું છે. જેમા તેમણે સંસ્કૃત શ્લોક લખીને અલવીદા કહ્યું છે. તેમના રાજીનામાને લઈને ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સાથેજ મોટા કોંગ્રેસ નેતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ રહી ચુક્યા છે ભરત દેસાઈ
આપને જણાવી દઈએ કે ભરત દેસાઈ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તો હતા પરંતુ તે સિવાય તેઓ મીડિયા ઈન્ચાર્જ અને માલધારી સેલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ પણ રહી ચૂક્યા છે. જોકે તેમણે કયા મુદ્દે નારાજ થઈને રાજીનામું આપ્યું છે તે કારણ હજુ સામે નથી આવ્યું.
જયરાજસિંહે પણ સૂંચક નિવેદન આપ્યા હતા
ગઈકાલે પણ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સૂચક નિવેદન આપ્યું હતું જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે ટ્વીટર પર જે ટ્વીટ કર્યું હતું તે તેમણે ચૂંટાયેલા ધારાસભ્યો મુદ્દે કર્યું હતું. બાદમાં આજે કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ પણ રાજીનામું આપી દીધું જેથી હવે મામલો વધુ વણસી રહ્યો છે.
મનહર પટેલે આપ્યું હતું સમર્થન
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે જયરાજસિંહ પરમારે ટ્વીટ કર્યું હતું ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે તેમને સમર્થન આપ્યું હતું સાથેજ તેમણે ટ્વીટ કરીને એવું કહ્યું કે સાચા કોંગ્રેસી ઘરે ન બેસી જાય. તો તેમણે સવાલ પણ કર્યો હતો કે, બોટાદ જિલ્લા પંચાયતમાં કોના કહેવાથી બધા ફોર્મ રદ થયા?