મુંબઈ ગુજરાતનો હિસ્સો બની જાય તો આશ્ચર્ય નહીં: નાના પટોલે
અગાઉ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવાનો હતો પણ હવે ગુજરાતમાં સ્થપાશે
હાલમાં મહારાષ્ટ્રમાં 1.54 લાખ કરોડનો ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રને મળનારો આ પ્રોજેક્ટ હવે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતા મામલો ગરમાયો છે. જેને લઈ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ તો ત્યાં સુધી કહ્યું કે, આવનારા સમયમાં મુંબઈ ગુજરાતનો હિસ્સો બને તો નવાઈ નહીં.
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતમાં એટલા માટે ગયો છે કારણ કે, મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓને દિલ્હીમાં પોતાના આકાઓને ખુશ કરવામાં વધુ રસ છે. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ ઈચ્છે છે કે, તેમના ગુજરાતના નેતાઓના આશીર્વાદ ચાલુ રહે. કાલે મુંબઈ ગુજરાત જાય તો મને નવાઈ નહીં લાગે. આવી સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉભી થઈ છે.
આ સાથે પટોલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં રાશનની દુકાનોમાં સ્ટોક નથી. અન્ય જિલ્લાઓમાં રાશનની દુકાનોનો સ્ટોક સમાપ્ત થવાનો છે, પરંતુ કેન્દ્ર સરકારે મદદ કરવાનો ઇનકાર કર્યો છે. શું ગરીબોએ ખોરાક વિના જીવવું જોઈએ ?
આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે કારણ કે તેમાં માત્ર 1.54 લાખ કરોડનું રોકાણ જ નહીં પરંતુ હજારો નોકરીઓનું સર્જન થશે. આ પ્રોજેક્ટને સ્વતંત્ર ભારતના ઈતિહાસનું સૌથી મોટું રોકાણ ગણાવવામાં આવી રહ્યું છે.
જાણો સમગ્ર ઘટનાક્રમ
વેદાંત ગ્રુપે ગુજરાતમાં સેમી કંડક્ટર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી
તાઇવાન ફેક્ટરી ફોક્સકોન સંલગ્ન છે
આ પ્રોજેક્ટ પર આશરે 20 બિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે
ગુજરાત સરકારે સસ્તી વીજળી અને બિન-નાણાકીય સબસિડી આપી
અમદાવાદ નજીક પ્લાન્ટ સ્થાપવામાં આવશે
અગાઉ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવાનો હતો
મહાવિકાસ આઘાડી સરકારે કવાયત કરી હતી
કંપનીના અધિકારીઓ એકનાથ શિંદે-ફડણવીસ સરકારને મળ્યા
તાલેગલ ફેઝ-4માં લગભગ 1000 એકર જમીન આપવા સંમત થયા હતા પરંતુ પ્રોજેક્ટ ગુજરાત ગયો