બેંકિંગ સિસ્ટમને લઇને સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારની અફવાઓ ફેલાઇ રહી છે. એને લઇને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ મંગળવારે ટ્વિટ કરીને લોકોને અપીલ કરી છે કે ડરશો નહીં.
RBIએ લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા કરી અપીલ
PMC બેંકો પર પ્રતિબંધ બાદ સોશ્યલ મીડિયા પર ફેલી છે અફવા
ભારતીય બેંકિંગ સિસ્ટમ પૂરી રીતે સુરક્ષિત અને સ્થિર છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશવાસીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે ભારતીય બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અફવાઓથી ગભરાવાની જરૂર નથી. આરબીઆઇનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક (પીએમસી) અનેક ગેરરીતિઓના કારણે સંકટમાં ઘેરાયેલી છે અને બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલ નકારાત્મક સમાચારો વચ્ચે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં ૧.૩૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
આરબીઆઇએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે સરકારી બેન્કો સહિત કેટલીક બેન્કોને લઇને કેટલાક સ્થળોએ અફવા ચાલી રહી છે અને તેના કારણે બેન્કોમાં નાણાં ડિપોઝિટ કરનાર લોકો ચિંતિત છે. રિઝર્વ બેન્ક આ અંગે સામાન્ય લોકોને ખાતરી આપવા માગે છે કે ભારતીય બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત અને સ્થિર છે અને આવી અફવાને લઇને ગભરાવાની કોઇ જરૂર નથી.
ફાઇનાન્શિયલ સિસ્ટમમાં દબાણને લઇને બીએસઇ અને એનએસઇમાં મંગળવારે બેન્કિંગ કંપનીઓના શેરને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્કનો શેર ૩૦ ટકાથી વધુ તૂટી ગયો હતો. યસ બેન્કના રોકાણકારોને માત્ર એક વર્ષમાં ૯૦ ટકાથી વધુ નુકસાન થયું છે.
ઓગસ્ટ ૨૦૧૮માં યસ બેન્કનો શેર રૂ. ૪૦૦થી વધુ ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો, જે આજે ગગડીને રૂ. ૩૨ની સપાટી પર આવી ગયો છે. યસ બેન્કની માર્કેટ કેપ ૮૦ હજાર કરોડથી ઘટીને ૮,૧૬૧ કરોડ પર આવી ગઇ છે. આમ, માર્કેટ કેપમાં રૂ.૭૦ હજાર કરોડનો મોટો કડાકો બોલી ગયો છે. આ ઉપરાંત ગઇ કાલે આરબીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એસબીઆઇ, આઇડીએફસી ફર્સ્ટ અને પંજાબ નેશનલ બેન્કના શેર એનએસઇ પર પાંચ ટકા સુધી તૂટી ગયા હતા.