મુંબઇ: દેશનું સૌથી મોટુ બેકિંગ કૌભાંડના આરોપી નિરવ મોદી અને મેહૂલ ચોક્સીના બંગલા તોડી પાડવા મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે રાયગઢ જિલ્લાના કલેક્ટરને અલીબાગ સ્થિત આ બંને આરોપીઓના બંગલા તોડી પાડવા માટે આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી રામદાસ કદમે રાયગઢના ગેરકાયદે બંગલાને લઈને બેઠક યોજી હતી અને ડીએમને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો. બેઠકમાં રામદાસે કહ્યું કે ગરૂડ અને અલીબાગમાં કુલ મળીને 164 ગેરકાયદે બંગલા છે. જેમાં બોલીવૂડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓના બંગલાઓનો સમાવેશ છે. અહીં રતન ટાટા આનંદ મહેદ્રા મુકુલ દેવડા જીન્નત અમાનના બંગલાનો પણ સમાવેશ છે.
મંત્રીએ કહ્યું કે અલીબાગમાં 69 અને ગુરૂડમાં 95 ગેરકાયદે બંગલા સામે કાર્યવાહી થશે. પરંતુ સરકારે હાલ રાયગઢ જિલ્લા તંત્રને નિરવ મોદી અને મેહૂલ ચોક્સીના બંગલા તોડી પાડવા આદેશ આપ્યો છે.
આ બંગલા એટલા માટે તોડી પાડવામાં આવશે કારણકે આ બંગલા કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના માપદંડોનું ઉલ્લંઘન હેઠળ આવે છે.
નોંધનીય છે કે ગત સપ્તાહે બોમ્બે હાઇકોર્ટે ગેરકાયદે બંગલા વિરુદ્ધ કડક વલણ નહીં અપનાવાને લઇને રાયગઢ જિલ્લા કલેક્ટરને ફટકાર લગાવી હતી.