વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે મનીષ સિસોદિયા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત છે. આ કાર્યવાહીથી સમગ્ર દેશની જનતામાં રોષ છે.
નવ વિપક્ષી નેતાઓએ PM મોદીને લખ્યો પત્ર
કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ પર કહી આ વાત
સિસોદિયા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા
દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિપક્ષના નેતાઓ સામે જે રીતે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે આપણે એક લોકશાહીમાંથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ.
'લોકશાહી મૂલ્ય ભાજપના શાસનમાં જોખમમાં'
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 26 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીથી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ઘણી લાંબી કવાયત પછી અને કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના કરવામાં આવી હતી. સિસોદિયા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત છે. આ કાર્યવાહીથી સમગ્ર દેશની જનતામાં રોષ છે. મનીષ સિસોદિયાને શાળા શિક્ષણમાં શાનદાર ફેરફાર લાવવા માટે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં સિસોદિયાની ધરપકડ વિશ્વની સામે રાજકીય ષડયંત્રનું ઉદાહરણ રજૂ કરે છે. આનાથી આ વાતને પણ પ્રોત્સાહન મળે છે કે ભારતમાં લોકશાહી મૂલ્ય ભાજપના શાસનમાં જોખમમાં છે.
ભાજપમાં જોડાયા બાદ ધીમી પડી ગઈ તપાસ
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 2014માં ભાજપના કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં જે નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કેસ નોંધવામાં આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે અથવા જેમના નિવાસસ્થાન અથવા પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે, તેઓ મોટાભાગે વિરોધ પક્ષો સાથે સંબંધિત છે. રસપ્રદ વાત એ પણ છે કે જે નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તેમની સામે તપાસની ગતિ ધીમી પડી ગઈ છે.
આ નેતાઓનો પણ કરાયો પત્રમાં ઉલ્લેખ
પત્રમાં આવા નેતાઓનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (BJP)ની સામે ઈડી અને સીબીઆઈ દ્વારા 2014 અને 2015માં શારદા ચિટ ફંડ કેસમાં તપાસ બેસાડવામાં આવી હતી. જોકે, સરમાના ભાજપમાં જોડાયા બાદ તપાસ ઠંડી પડી ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતાઓ સુવેન્દુ અધિકારી અને મુહુલ રોયનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના નારાયણ રાણે સહિત ઘણા નેતાઓના નામ આવા જ ઉદાહરણ રજૂ કરે છે.
આ નેતાઓની સામે હજુ પણ તપાસ ચાલું
પત્રમાં તે વિપક્ષી નેતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ હાલમાં કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે. આમાં લાલુ પ્રસાદ યાદવ (RJD), સંજય રાઉત (શિવસેના ઉદ્ધવ જૂથ), આઝમ ખાન (સપા), નવાબ મલિક, અનિલ દેશમુખ (NCP) અને અભિષેક બેનર્જી (તૃણમૂલ કોંગ્રેસ)ના નામ સામેલ છે. આ પત્રમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો પણ ઉલ્લેખ કરાયો છે.
રાજ્યપાલ બંધારણીય જોગવાઈઓનું કરી રહ્યા છે ઉલ્લંઘનઃ પત્ર
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં સરકારના કામકાજમાં રાજ્યપાલની દખલગીરી વધી રહી છે, જેના કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અંતર વધી રહ્યું છે. પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક રાજ્યોમાં રાજ્યપાલ જાણીજોઈને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે લોકશાહી માટે સારો સંકેત નથી. પત્ર દ્વારા નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓની કલંકિત થઈ રહેલી છબી, તેમની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા પર ઉઠી રહેલા સવાલ પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.