NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈના નજીકના મિત્રોના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ગેંગસ્ટર બિશ્નોઈના સાથે જોડાયેલ સ્થળો પણ દરોડા
ત્રણ રાજ્યોમાં અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા
ટેરર ફંડિંગનું મોટું નેટવર્ક ચલાવતા હોવાની બાતમી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ મંગળવારે સવારે દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈના નજીકના મિત્રોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. થોડા દિવસો પહેલા લોરેન્સને પંજાબની જેલમાંથી પૂછપરછ માટે દિલ્હીમાં NIA હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો. ગેંગસ્ટરની પૂછપરછ બાદ કેન્દ્રીય એજન્સીએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં જ NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને 25થી વધુ ગેંગસ્ટરોની યાદી આપી હતી, જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબના કુખ્યાત 25 ગેંગસ્ટરોના નામ હતા. કેન્દ્રીય એજન્સીએ ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે કે આ તમામને ઉત્તર ભારતની જગ્યાએ દક્ષિણ ભારતની જેલોમાં શિફ્ટ કરવામાં આવે. હકીકતમાં, NIA સિવાય દિલ્હી પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે ગેંગસ્ટર્સ જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા
આ માહિતી બાદ NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ પત્ર લખ્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગસ્ટરોની સાંઠગાંઠ તોડવા માટે તેમને ઉત્તર ભારતથી દૂર દક્ષિણના રાજ્યોની જેલોમાં શિફ્ટ કરવા જરૂરી છે. તાજેતરમાં નીરજ બબનિયા ગેંગના બે અગ્રણી ગેંગસ્ટરોની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા અને નવીન વાલીની UAPA હેઠળ ધરપકડ કરી હતી. આ બંને તિહાર જેલમાં બંધ હતા. UAPA હેઠળ અત્યાર સુધીમાં જે પણ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછના આધારે NIAએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ભારતીય ગેંગસ્ટરો વચ્ચેની સાંઠગાંઠ અંગે ઘણા ઈનપુટ એકઠા કર્યા છે. પાકિસ્તાન આ ગુંડાઓનો ટેરર ફંડિંગ અને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરી રહ્યું છે.
પહેલા પણ થઇ ચુકી છે કાર્યવાહી
આ મામલામાં NIA જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી ચૂકી છે. તે દરોડામાં તપાસ એજન્સીને દેશવિરોધી ગતિવિધિઓના પુરાવા મળ્યા હતા. NIA દ્વારા ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે તપાસ એજન્સી સતત સક્રિયતા દાખવી રહી છે. દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવનારા તત્વો હવે પોતાની ઓળખ છુપાવવા માટે સ્થાનિક ગુંડાઓનો આશરો લઈ રહ્યા છે. ભૂતકાળમાં રાજસ્થાન-અમદાવાદ રેલ્વે ટ્રેક પર થયેલા બ્લાસ્ટ કેસમાં પણ આ આતંકવાદી ઘટનાને કેટલાક સ્થાનિક ગુંડાઓની મદદથી અંજામ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
PFI પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા NIAએ દેશભરમાં ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અડ્ડાઓ પર બે વખત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આ સંગઠનના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. NIA અને ED દ્વારા PFIના નેતાઓ પર આરોપ છે કે તેઓ મની લોન્ડરિંગ દ્વારા વિદેશમાંથી હવાલા દ્વારા ભંડોળ એકત્ર કરી રહ્યા છે. તપાસ એજન્સીઓને આ સંબંધમાં પુરાવા મળ્યા બાદ કેન્દ્ર સરકારે PFI પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.