કેન્દ્રની મોદી સરકારે અનામતની ગૂંચને ઉકેલવા માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં અનામત માટે ઉગ્ર બનેલા આંદોલનોને ઠારવા કેન્દ્રીય કેબિનેટે લીધો છે એક મોટો નિર્ણય. આ નિર્ણયથી OBCમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી તે અંગેનો નિર્ણય સંસદની મંજૂરીથી લેવાશે.
કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળી હતી. જેમાં અનામતને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠકમાં નેશનલ OBC પંચના સ્થાને એક નવા પંચની રચના કરવાની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આ નવા પંચને બંધારણીય દરજ્જો આપવાની મંજૂરી મળી ગઈ છે. જેના માટે સરકાર સંસદમાં એક સંશોધન બિલ લાવશે. PM મોદી કેબિનેટે આ નિર્ણય અનામતની ગૂંચ ઉકેલવા લીધો હોય તેવું જાણકારોનું માનવું છે. કારણ કે નવા નિયમ પ્રમાણે સંસદની મંજૂરી બાદ OBCની યાદીમાં ફેરફાર કરી શકાશે. જેનો અર્થ એવો થાય છે કે સરકાર જ નક્કી કરી શકશે કે OBCમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી.
સરકારના આ નિર્ણયથી આયોગને બંધારણીય દરજ્જો મળશે. અત્યારસુધી OBC પંચ પાસે ફક્ત વૈધાનિક દરજ્જો જ હતો પણ બંધારણિય દરજ્જો મળ્યા બાદ આ પંચે કઈ જાતિનો OBCમાં સમાવેશ કરવો અને કંઈ જાતિને દૂર કરવી તે અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલી શકશે. કેન્દ્ર સરકાર મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની એક નવી પરિભાષા હશે. સરકારના આ નિર્ણયથી દેશની તમામ જાતિ આધારિત નોકરીઓથી લઈને બીજી અનેક સુવિધાઓમાં ફેરફાર થશે તે નક્કી છે. ઉલ્લેખનિય છે કે OBC કલ્યાણ સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ સરકાર પાસે OBC આયોગને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરી હતી. જે બાદ સરકારે લાંબી ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે આ મામલે હવે ક્યા ઉતાર ચઢાવ આવે છે.