પોતાના જમાઈ મયપ્પનનું નામ મેચ ફિક્સિંગમાં સામે આવ્યા બાદ BCCIનું અધ્યક્ષ પદ છોડનારા N શ્રીનિવાસન હવે ICCના પ્રથમ ચેરમેન બની ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે અત્યાર સુધી ICCમાં ચેરમેન જેવું કોઈ પદ જ ન હતું.ICCના બંધારણમાં સંશોધન કરી ચેરમેનનું પદ ઉભું કરવામાં આવ્યું અને કોઈ પણ વિરોધ વિના શ્રીનિવાસનને પહેલા ચેરમેન બનાવી દેવાયા.
BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના માલિક એવા N શ્રીનિવાસન બની ગયા છે ICCના પહેલા ચેરમેન. માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં શ્રીનિવાસન તમિલનાડુ ક્રિકેટ સંઘના વડાથી ICCના ચેરમેન થયા. આ એ જ શ્રીનિવાસન છે કે જેમના જમાઈ મયપ્પનનું નામ 2013ની IPL સિ{નમાં બહાર આવેલા મસમોટા મેચ ફિક્સિંગ કૌભાંડમાં ખૂલ્યું હતું.ત્યારબાદ શ્રીનિવાસન સામે ઉઠેલો વિરોધ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે જ્યાં સુધી મેચ ફિક્સિંગ કેસની તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યા સુધી BCCIનું અધ્યક્ષ પદ છોડવા કહ્યું હતું.તે સમયે તો શ્રીનિવાસને બોર્ડનું અધ્યક્ષ પદ ત્યાગી દીધું હતું. પરંતુ બોર્ડમાં મોટાભાગે તેમના આદેશોનું જ પાલન થતું હોવાનું બહાર આવ્યું હતું .આશ્ચર્યની વાત છે કે જેના જમાઈ અને જેની ટીમના કેટલાક ખેલાડીઓ પર મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની શંકા હતી તેવા શ્રીનિવાસનનું નામ BCCIએ ICCના અધ્યક્ષ પદ માટે મોકલ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ICCના બંધારણમાં સંશોધન પર 8 ફેબ્રુઆરીએ સિંગાપુરમાં ICC બોર્ડે સહમતિ દર્શાવી હતી. જે અંતર્ગત ICCમાં ચેરમેનનું પદ ઉભું કરવામાં આવ્યું હતું. અને હવે ICCના પહેલા ચેરમેન તરીકે કોઈ પણ વિરોધ વિના શ્રીનિવાસનનું નામ નક્કી કરવામાં આવ્યું છે.ખુદ શ્રીનિવાસનને પણ આ સમાચારને પુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે આઈસીસીના ચેરમેન તરીકે પસંદ થવું સન્માનની વાત છે. હું ક્રિકેટને મેદાનની અંદર અને મેદાનની બહાર મજબૂત બનાવવામાં કોઈ કસર નહિ રાખું. ક્રિકેટના વિકાસ અને લોકપ્રિયતા માટે ગંભીરતાથી કામ કરાશે. થોડા સમય પહેલા શ્રીનિવાસનને ICCના અધ્યક્ષ અને ચેરમેનનું પદ સંભાળતા રોકવા માટે બિહાર ક્રિકેટ સંઘે કોર્ટમાં એક અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યા બાદ બીસીસીઆઈએ શ્રીનિવાસનના નામને ICCના ચેરમેન તરીકે આગળ કર્યુ હતું. અને હવે દબદબા વચ્ચે શ્રીનિવાસન ICCના ચેરમેન પદની ખુરશી સુધી પહોંચી પણ ગયા છે.બીજી તરફ શ્રીનિવાસન સામે કાયદાકીય લડાઈઓએ આ વાતનો વિરોધ નોંધાવ્યો છે.
શ્રીનિવાસન એક રીતે જોઈએ તો દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્ત્વ કરે છે. પરિણામે બોર્ડમાં જ શ્રીનિવાસનના નામ સામે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને વાંધો છે.ખાસ કરીને ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનના પદાધિકારીઓને શ્રીનિવાસન સાથે ખાસ જામતું નથી. આવા જ કેટલાક લોકોના દબાણથી મેચ ફિક્સિંગ કૌભાંડ વખતે શ્રીનિવાસને નાછૂટકે BCCIનું અધ્યક્ષ પદ છોડવું પડયું હતું. હવે એ જ શ્રીનિવાસન ICCના ચેરમેન બની જતા તેમના હરિફોના પેટમાં ફાળ પડી છે.
એવું મનાય છે કે ICCમાં શ્રીનિવાસનની હાજરીથી બોર્ડમાં ભારતની તાકાત વધશે. આમ પણ વિશ્વનું સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડ હોવાના કારણે BCCI પહેલાથી જ પોતાનું ધાર્યું કરાવતું આવ્યું છો.તેવામાં હવે વ્યાપારિક કુનેહ ધરાવતા શ્રીનિવાસનની એન્ટ્રીથી આખું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતના કાબુમાં આવી જશે.