અરવલ્લી જિલ્લામાં ગોઝારા અકસ્માતમાં ચૌદ લોકોનાં મોત થયા છે. આ અકસ્માતને પગલે સમગ્ર ભીલોડા પંથક શોકમગ્ન બન્યો છે. એક સાથે ચૌદ મોભીઓની વસમી વિદાયથી કુડોલ પાલના ગામના પગતળેથી જમીન સરકી ગઈ છે.
આ કાળમુખું ટ્રેક્ટર 14 જિંદગી ભરખી ગયું છે. આ ટ્રેક્ટરે લોકાચાર માટે ભીલોડાના કુડોલ પાલથી ધંધાસણ જતા ડામોર પરિવારને કાળનો કોળિયો બનાવ્યો છે. ટ્રેક્ટરની આ દશા જોઈ કલ્પી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે. કુડોલ પાલ ઘાટીનો ઢાળ ચઢતી વખતે અચાનક ખામી સર્જાતા ટ્રેક્ટરે પલટી મારી હતી. પલટી મારતાની સાથે જ ટ્રેક્ટર સીધુ ખીણમાં ખાબક્યું હતું. કુદરતની ક્રુરતા કહો કે બીજું કાંઈ પણ ટ્રેક્ટર સીધુ પથરાઓ પર ખાબકતાં સવાર મોટા ભાગના લોકો ચગદાઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા. તો કેટલાક લોકો હૉસ્પિટલ પહોંચે તે પહેલા અને કેટલાકે હૉસ્પિટલ પહોંચીને દમ તોડયો હતો. વિધિની વક્રતા તો જુઓ તો કેટલાક મૃતકોને હૉસ્પિટલ ખસેડવામાં પણ ટ્રેક્ટરની ટ્રોલી જ નસીબ થઈ હતી. સાંજ સુધીમાં મૃત્યુઆંક 13 થઈ જતાં ભીલોડા પંથક શોકમગ્ન બની ગયો હતો. ઈજાગ્રસ્તોને અમદાવાદ ભીલોડા અને હિંમતનગરની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જે પૈકી કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
કુડોલ પાલ ગામેથી લોકાચાર માટે ધંધાસણ જવા ત્રણ ટ્રે~ટર રવાના થયા હતા. બે ટ્રેક્ટરમાં પુરુષો અને એક ટ્રેક્ટરમાં મહિલાઓ સવાર હતી. જે પૈકી પુરુષોથી ભરેલું એક ટ્રેકટર ઢાળ ચઢતી વખતે પલટી જતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. મૃતકોમાં દાનજી નાનજી ડામોર જોરજી કડવાજી ડામોર બાબુ કાવડા ડામોર મગન રાવડા ડામોર માવજી કમજી ડામોર જીતુભાઇ ખાતુભાઇ ડામોર નરસિંહ કુબેર ડામોર સુરપાલ બચુ ડામોર ચંદુ સાજાજી ડામોર મિતેષ મગનભાઇ ડામોર જીવાજી કાડાજી ડામોર બદાજી ધુડાજી ડામોર અને લકશીભાઇ સુખાજી ડામોરનો સમાવેશ થાય છે. અકસ્માતને નજરે નિહાળનારા લોકો રીતસરના ભાંગી પડયા હતા.
આ અકસ્માત બાદ ભીલોડા પંથકમાં માતમ છવાયો છે. સ્થાનિક ધારાસભ્ય પણ દુઃખમાં ભાગીદાર બનવા હિંમતનગર પહોંચ્યા હતાં અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ચૌદ-ચૌદ મોભીઓની આ અણધારી વિદાયથી કુડોલ પાલ ગામ હિબકે ચઢયું છે. આવી કપરી ઘડીએ સમગ્ર ગામ ગમગીન છે આ જ ગમગીની વચ્ચે શુક્રવારે ગામમાં એક પણ ચુલો પણ સળગ્યો ન હતો. શનિવારે આ હતભાગી મૃતકોના સામૂહિક અગ્નિસંસ્કાર થશે. આ સાથે જ નાનકડું કુડોલપાલ ગામ એક સાથે 14-14 અર્થી ઉઠવાનું મૂક સાક્ષી બની જશે.