કેજરીવાલની આંધી સામે હવે નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કાળા નાણાનો મુદ્દો ઉઠાવી લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત મોદીના સમર્થક એવા બાબા રામદેવને કાળા નાણાના મામલાની કમાન સોંપાઈ છે. કેજરીવાલના કારણે એક મહિનાથી લોકોનું ધ્યાન મોદી પરથી હટી ગયું છે. આવા સમયે બાબા રામદેવે ફરી મોદીને ચર્ચામાં લાવવા કાળા નાણાનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટીકા કરી.
છેલ્લા એક મહિનાને બાદ કરતા 2013નું આખુ વર્ષ સમાચાર ચેનલો અખબારો અને સોશિયલ મીડિયામાં માત્રને માત્ર મોદી છવાયેલા રહ્યા. પરંતુ 8 ડિસેમ્બરે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જે રીતે આખા દેશમાં આમ આદમી પાર્ટીની ચૌરેને ચૌટે ચર્ચા થઈ તેના કારણે મોદી અને તેમના સમર્થકો ચિંતામાં છે. ઉપરથી રોજેરોજ AAPમાં અસંખ્ય લોકો જોડાઈ રહ્યા છે. આવા સમયે કેજરીવાલની વધતી લોકપ્રિયતા પરથી લોકોનું ધ્યાન હટાવવા અને મોદીને ચર્ચામાં લાવવાનું બીડું બાબા રામદેવે ઝડપ્યું છે.અને મુદ્દો પણ તેમની પસંદગીનો જ એટલે કે વિદેશોમાં જમા કાળા નાણા પાછા લાવવાનો છે. .યોગ થકી રોગ ભગાડવાની વાતો કરનારા અને હવે રાજકીય જડીબુટીઓથી મોદીના વિરોધીઓને પરાસ્ત કરવા મેદાને ઉતરેલા બાબા રામદેવે કહ્યું કે જો મોદી વિદેશોમાંથી કાળું નાણું પાછા લાવવાનો ભરોસો આપે તો તેઓ મોદીને સમર્થન આપવા તૈયાર છે. સાથે જ તેઓ મોદીના વખાણ કરવાનું પણ ચુક્યા નહિ.
બાબા રામદેવ અને નરેદ્ર મોદી વચ્ચેની દોસ્તી કોઈનાથી છુપી નથી. મોદી કદાચ કાળા નાણા પાછા લાવવાની બાયંધરી ન પણ આપે તોય બાબા મોદીનું જ સમર્થન કરશે તેમાં કોઈ બેમત નથી. કેમ કે કોંગ્રેસ સાથે બાબાને પહેલાથી ફાવતું નથી અને આમ આદમી પાર્ટીને કોઈ કાળે બાબા સાથ આપશે નહિ. મતલબ કે બાબા પાસે મોદી સિવાય કોઈ વિકલ્પ નથી. છતા તેમણે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી કે જો કોંગ્રેસ તેમની નીતિઓને માનવા તૈયાર હોય તો તેઓ પણ કોંગ્રેસનું સમર્થન કરવા તૈયાર છે.
માન્યું કે કોંગ્રેસી શાસનના કારણે દેશમાં મોંઘવારી ભ્રષ્ટાચાર અને ગરીબી વધી છે..પરંતુ આમ આદમી પાર્ટી પ્રત્યે બાબાને કેમ આટલો રોષ છે તે વાત સમજાતી નથી.બાબાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કા^ગ્રેસનો સાથ લેનારી પાર્ટી ગુનેગાર છે.માટે તેમને સાથ ન આપી શકાય.
કદાચ નરેદ્ર મોદીનો પ્લાન બાબા રામદેવના કાળા નાણા પાછા લાવવાના અભિયાન થકી મુદ્દાને સાઈડટ્રેક કરવાનો છે.કેમ કે લોકસભા ચૂંટણી સુધી જો આવી જ રીતે કેજરીવાલ અને તેમની પાર્ટી મોટા મોટા નિર્ણયો લેતી રહી અને તેમની લોકપ્રિયતા વધતી રહી તો પછી ચૂંટણી વખતે ન તો કોંગ્રેસનો કોઈ ભાવ પૂછશે ન મોદીનો. હવે મોદી પાસે એક જ વિકલ્પ છે કે કાં તો તેઓ આમ આદમી પાર્ટીને આગળ વધતી રોકે અથવા પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવે.