દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળી આવવા મામલે વધુ એક ટ્વીસ્ટ સામે આવ્યો છે.
મુકેશ અંબાણીના ઘર બહાર મળી હતી કાર
મનસુખ હિરેન નામક વ્યક્તિ તેનો માલિક હોવાનો હતો દાવો
હિરેનની મોત બાદ હવે માલિક મામલે નવો ખુલાસો
મનસુખ હિરેન નથી કારનો માલિક
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળવા મામલે વારંવાર નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે ત્યાં જે સ્કૉર્પિયો કાર મળી આવી હતી તેના માલિક મુદ્દે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. મનુસખ હિરેનને આ કારના માલિક ગણવામાં આવી રહ્યા હતા પરંતુ હવે સામે આવી રહ્યું છે કે મનુસખ હિરેન આ કારન માલિક છે જ નહીં.
ન્યૂટન છે કારનો માલિક
ઇંડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અંબાણીના બંગલાની બહાર જે કાર મળી આવી હતી તેના માલિક સેમ પીટર ન્યૂટન છે જે થાણેમાં રહે છે. આ કારનું રજીસ્ટ્રેશન વર્ષ 2007માં કરવામાં આવ્યું હતું તેવો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
શું છે આખો મામલો?
હિરેને પણ મોત પહેલા ક્રાઇમ બ્રાન્ચને જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું કે ન્યૂટન વર્ષ 2016થી તેમના પરિચિત હતા અને હિરેન થાણેમાં કાર ડેકોરેશનનું કામ કરતાં હતા અને ત્યારે ન્યૂટને ગાડીમાં એક્સેસરીઝ લગાવવા કહ્યું હતું. રિપોર્ટ અનુસાર ગાડીમાં કામ થાય બાદ ન્યૂટને હિરેનને 2.80 લાખ રૂપિયાની ચૂકવણી માટે બે ચેક આપ્યા હતા જે બાઉન્સ થઈ ગયા. 6 એપ્રિલ, 2018એ હિરેને પૈસા માંગ્યા પણ ન્યૂટન આપી ન શક્યા. આ મુદ્દે તેઓ પોલીસમાં પણ ગયા જે બાદ ન્યૂટને કહ્યું કે તે 15 દિવસમાં પૈસા આપી દેશે. હિરેનના પત્ની વિમલાએ કહ્યું કે હિરેને જે કાર પોલીસ અધિકારી સચિન વાઝેને વાપરવા માટે આપી હતી તે કાર નવેમ્બર 2020થી આ વર્ષના 5 ફેબ્રુઆરી સુધી તે જ પોલીસની સાથે રહી.
મનસુખ હિરેનની મોત બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષ દ્વારા કરાયો હતો હોબાળો
25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર એસયુવી કાર મળી આવી હતી અને તેમાં નંબર પ્લેટ ખોટી હતી અને તેના ચેસિસ તથા એન્જિન નંબરને પણ ભૂંસી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે સઘન તપાસ કરીને કારના માલિકને શોધવાનો દાવો કર્યો. શરૂઆતમાં આ કાર મનસુખ હિરેનની છે તેમ દાવો કરવામાં આવ્યો અને હિરેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કાર ચોરી થઈ ગઈ હતી. જોકે પોલીસ આ કેસમાં વધુ તપાસ આગળ વધારે તે પહેલા જ મનસુખ હિરેનની મોત થઈ ગઈ.