કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દરરોજ વધી રહ્યા છે. ઓમિક્રોનની વધતી જતી ઝડપે લોકોને ડરાવી દીધા છે.
ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક ઉછાળો
વધુ 2 નવા લક્ષણો આવ્યા સામે
દર્દીને આવે ઉબકા અને નથી લાગતી ભૂખ
દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં ઓમિક્રોનના વધુ કેસ સામે આવી રહ્યા છે. વધતા જતા કેસોને જોતા સરકારે રાજધાની દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, સંક્રમણને રોકવા માટે, ઘણા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે.
ઓમિક્રોનના વધુ લક્ષણો આવ્યા સામે
કોરોનાના જે નવા કેસ સામે આવી રહ્યા છે તેમાં 2 નવા લક્ષણો સામે આવી રહ્યા છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓને ઉબકા અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કહ્યું છે કે, આવા લક્ષણો એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમણે રસીના ડોઝ અથવા બૂસ્ટર ડોઝ બંને લીધા છે.
Omicron ના લક્ષણો શું છે?
ઓમિક્રોન પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ ગળામાં દુખાવો, ઉધરસ, વહેતું નાક, તાવ, સ્નાયુઓમાં દુખાવો અને રાત્રે ભારે પરસેવો અનુભવી રહ્યા છે. પેટ સંબંધિત કેટલાક લક્ષણો પણ ઘણા લોકોમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓ ઉલ્ટી અને માથાનો દુખાવાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. ત્વચા પર પણ કેટલાક ફેરફારો દેખાય છે. ઘણા લોકોને લાલ ફોલ્લીઓ અથવા ચકામાઓ પણ થઈ રહ્યા છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ કરતા થોડા હળવા છે, પરંતુ જેમ જેમ સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, ઘણા નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.
ઓમિક્રોનમાં ગંભીરતાના મામલા ઓછા
કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ કરતાં હળવા હોય છે, આમ સંક્રમિત સ્વસ્થ લોકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતને દૂર કરે છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના સંશોધનમાં જણાવાયું છે કે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા 15-25 ટકા ઓછી છે.
સીઝનલ ફ્લૂના લક્ષણો
આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, શિયાળામાં ટાઢ અને કફની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે થે અને ઓમિક્રોનના લક્ષણો પણ એવા જ છે જેમાં તમને બંન્નેના લક્ષણો વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. સીઝનલ ફ્લૂમાં તાવ, નાકમાંથી પાણી વહેવું, ગળું સુકાવું, શ્વાસ લેવામાં તકલીફ અને માંસપેશિયોમાં દર્દ રહે છે.જો તમને આવા કોઈ જ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત જ કોવિડ ટૅસ્ટ કરાવી લેવો જોઈએ અને આઈસોલેટ થવું જોઈએ.