દેશમાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા બે અઠવાડિયાથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે, નવા કાયદાઓમાં APMC સિસ્ટમ ખતમ કરવાની વાત સામેલ નથી પરંતુ ખેડૂતોને એવી શંકા છે કે આ કાયદાથી APMC બજારની સિસ્ટમ ખતમ થઇ જશે અને ખાનગી કંપનીઓ બજારમાં આવી જશે. ત્યારે આ માહોલ વચ્ચે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નવું APMC બનવા જઇ રહ્યું છે.
પ્રધાનમંત્રીના વતન વડનગરમાં બનશે APMC
વડનગરમાં 15 વર્ષથી બંધ હાલતમાં હતી APMC
વર્ષ 2017માં CM વિજય રૂપાણીએ કરી હતી હાંકલ
રાજ્યમાં સરકાર એક નવું APMC બનાવવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં 15 વર્ષથી APMC બંધ છે. ત્યારે વર્ષ 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંધ APMCને શરૂ કરવા માટે હાંકલ કરી હતી. વડનગરવાસીઓ માટે નવીન APMCનું વચન આપ્યું હતું. ત્યારે હવે એક મહિનામાં અહીં APMCનું નવીનીકરણ થશે.
આ કારણે બંધ હતું વડનગરનું APMC માર્કેટયાર્ડ
વડનગરમાં 1965થી APMC માર્કેટયાર્ડ કાર્યરત હતું. જે કેટલાક વિવાદોના કારણે છેલ્લા 15 વર્ષોથી બંધ હાલતમાં હતું. કારણ કે માર્કેટયાર્ડ જે જગ્યામાં બનાવવામાં આવ્યું હતું એ જગ્યા NA થયેલી ન હતી. ત્યારે હવે ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના પ્રયત્નોથી અને સરકારે આપેલા વચનને લીધે હવે માર્કેટયાર્ડની આ જગ્યાની NA પરવાનગી આપવામાં આવી છે. જેથી હવે આગામી એક મહિનામાં અહીં નવીન APMC માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ અંગે મહેસાણા જિલ્લા રજીસ્ટાર હિતેશ પટેલે માહિતી આપી હતી.
વડનગરમાં APMC માર્કેટને ત્વરીત રીતે ફરી શરૂ કરવાની CM રૂપાણીએ કરી હતી જાહેરાત
વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વતન મુલાકાત દરમિયાન વડનગરમાં APMC માર્કેટને ત્વરીત રીતે ફરી શરૂ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. ત્યારે સભા સંબોધિત કરતા સમયે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારથી દિલ્હી ગયા છે. ત્યારથી દરેક રીતે કેન્દ્ર સરકાર મદદરૂપ થાય છે. મોસાળમાં જમણવાર અને મા પીરસનાર જેવી સ્થિતિ છે. ત્યારે પ્રધાનમંત્રીના વતનમાં વડનગર અને તેની આસપાસના ગામોમાં કાળી મજૂરી કરતા ખેડૂતને તેના પાકના યોગ્ય ભાવ મળે તે માટે ત્વરિત APMC શરૂ થાય તેવો સરકારે નિર્ણય કર્યો છે. જેને લઈને PM મોદીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે આ ગામના દીકરાના નાતે હું રાજ્ય સરકારનો આભારી છું.
ખેડૂતોને શંકા છે કે સરકાર ખેડૂતોના પાકની ખરીદી ઓછી કરીને બંધ કરી શકે છે
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને મનાવવા અને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ વિરોધનું એક કારણ એ પણ છે કે હાલના APMC(એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની બજારોની સાથે સાથે ખાનગી કંપનીઓને પણ ખેડૂતોની સાથે કરાર ખેતી, અનાજની ખરીદી અને સંગ્રહ સિવાય વેચાણ કરવાનો અધિકાર હશે. ત્યારે વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને આ વાતની શંકા છે કે સરકાર ખેડૂતોના ઘઉં અને અનાજ જેવા પાકોની ખરીદી ઓછી કરીને બંધ કરી શકે છે અને તેને સમગ્ર રીતે બજારના ભરોસે રહેવું પડશે. ખેડૂતોને આ વાતની આશંકા છે કે આનાથી ખાનગી કંપનીઓને ફાયદો થશે અને લઘુત્તમ ટેકાના ભાવ ખતમ થવાથી ખેડૂતોને મુશ્કેલીઓ વધશે.
નવા કાયદાઓમાં APMC સિસ્ટમ ખતમ કરવાની વાત સામેલ નથી
જોકે ત્રણેય નવા કાયદાઓમાં APMC બજારોને બંધ કરવા કે પછી APMC સિસ્ટમને ખતમ કરવાની વાત સામેલ નથી પરંતુ ખેડૂતોને ડર છે કે આ કાયદાઓ દ્વારા ખાનગી કંપનીઓ આ બજારમાં આવવાથી અંતમાં એજ થવાનું છે.