ભારત નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદી વિવાદ વધ્યો છે. નેપાળે ભારતના કેટલાક ભાગોને આવરી લેતો નવો નકશો પ્રકાશિત કર્યા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં તંગી સર્જાઈ હતી. જો કે આ બધાની વચ્ચે વચ્ચે નેપાળે એક આવકારદાયક પગલું ભર્યું છે.
મોદી સરકારને વધુ એક સફળતા મળી
સીમા વિવાદ મામલે નેપાળે જીદ છોડી નમતું જોખ્યું
નેપાળમાં નવા નકશાનું સંવિધાન સંશોધન અટક્યું
નેપાળ તરફથી જાહેર કરવામાં આવેલા નકશાને દેશનાં સંવિધાનમાં જોડવા માટે આજે સંસદમાં સંવિધાન સંશોધનનો પ્રસ્તાવ રાખવાનો હતો, પરંતુ નેપાળ સરકારે અંતિમ ક્ષણે સંસદની કાર્યયાદીમાંથી સંવિધાન સંશોધનની કાર્યવાહી હટાવી દીધી છે.
ભારત સાથે વાતચીત કરી મુદ્દાને ઉકેલવાની આપી સલાહ
નેપાળનાં સત્તાપક્ષ અને વિરોધી પક્ષોની પરસ્પર સહમતિથી જ સંવિધાન સંશોધન બિલને અત્યારે સંસદની કાર્યયાદીમાં હટાવવામાં આવ્યું છે. નેપાળનાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ નવા નકશાવાળા મુદ્દા પર રાષ્ટ્રિય સહમતિ બનાવવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. ત્યારે આ બેઠકમાં તમામ દળનાં નેતાઓએ ભારત સાથે વાતચીત કરીને કોઈપણ મુદ્દાને ઉકેલવાની સલાહ આપી હતી.
શું છે સમગ્ર વિવાદ
આપને જણાવી દઈએ કે, નેપાળ ઉત્તરાખંડના લિપુલેખ કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરી રહ્યું છે અને તેણે આ ત્રણે વિસ્તારોને પોતાનામાં સામેલ કરીને નવો નકશો પણ તૈયાર કરીને જાહેર કર્યો હતો જેને આજે સંસદમાં પાસ કરવાનો હતો.
વિદેશ મંત્રાલયે આપ્યુ નિવેદન
પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને વાટાઘાટોનો માહોલ બનાવવાની માગ કરી હતી. આથી નેપાળે નવા નકશાને સંસદમાં રજૂ નહીં કરીને વાટાઘાટો માટે રાજદ્વારી પરિપક્વતાનો દાખલો બેસાડ્યો છે.