મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 બાદ બદલેલા રાજકીય સમીકરણો વચ્ચે ભાજપે એનસીપીને સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. એનસીપી પ્રમુખ શરદ પવારે આ ખુલાસો કર્યો છે.
મુખ્યમંત્રીના મુદ્દે તોડ્યું હતું ગઠબંધન
પ્રધાનમંત્રી સાથે મુલાકાતની વાત સ્વીકારી
પ્રધાનમંત્રીએ પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું
શરદ પવારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર ચૂંટણી બાદ વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છતા હતા કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને એનસીપી સાથે આવે. પરંતુ, શરદ પવારે પીએમને કહ્યું હતું કે તે સંભવ નથી.
શરદ પવારની ટિપ્પણી આવ્યા બાદ આ મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઉતે ગુરૂવારે દાવો કર્યો કે વર્ષ 2019ની ચૂંટણી બાદ ભાજપ સત્તામાં આવવા માટે ઉત્સાહિત હતી. તેના માટે પાર્ટી કોઇનો પણ હાથ પકડવા માટે તૈયાર હતી. વર્ષ 2019ની ચૂંટણી બાદ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને NCP અને કોંગ્રેસ ગઠબંધનની સાથે હાથ મિલાવી લીધો. હજુ મહારાષ્ટ્રમાં ત્રણેય પાર્ટીઓના ગઠબંધન મહાવિકાસ અઘાડીની સરકાર છે.
મુખ્યમંત્રીના મુદ્દે તોડ્યું હતું ગઠબંધન
શિવસેનાએ ભાજપ સાથે વર્ષ 2019માં મુખ્યમંત્રીના મુદ્દે ગઠબંધન તોડ્યું હતું. ત્યારબાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ બાદમાં NCP અને કોંગ્રેસ સાથે રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકાર બનાવી. આ દરમિયાન ભાજપ અને NCP વચ્ચે ગઠબંધનની વાત ચાલી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના નેતૃત્વમાં સરકાર પણ બની, પરંતુ આ સરકાર અંદાજિત 80 કલાક જ ટકી શકી હતી. શરદ પવાર ત્યારે આ ગઠબંધનના વિરોધમાં હતા.
પ્રધાનમંત્રી સાથે મુલાકાતની વાત સ્વીકારી
શરદપવારે એક કાર્યક્રમ દરમિયાન સ્વીકાર્યું કે તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થઇ હતી. કાર્યક્રમમાં તેમને સવાલ કરવામાં આવ્યો કે તેમણે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને કહ્યું હતું કે, જો ભાજપ મુખ્યમંત્રી પદથી દેવેન્દ્ર ફડણવીસને હટાવી દે તો એનસીપી અને ભાજપ એક સાથે આવી શકે છે. આના પર પવારે કહ્યું કે આ સાચુ છે કે તેમની અને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત થઇ હતી.
પવારે કહ્યું કે, તેમની ઇચ્છા હતી કે અમે સાથે આવીએ. જોકે, હું તેમના કાર્યાલય ગયો અને તેમને કહ્યું કે આ સંભવ નથી. મેં તેમને કહ્યું કે અમે તેમને અંધારામાં ન રાખી શકીએ. અમારુ વલણ અલગ છે.
પ્રધાનમંત્રીએ પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું
પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા અંગે પૂછવા પર શરદ પવારે કહ્યું કે, પીએમ મોદીએ તેમના આ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે કહ્યું. પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ અંદાજિત 90 દિવસ સુધી સરકાર ન બની શકી. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવથી પ્રધાનમંત્રીએ વિચાર્યું હશે કે એવું કરવાથી રાજ્યમાં એક સ્થિર સરકાર બની શકે છે.