વધુ એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં આગાહી કરવામા આવી છે.
મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો કાઢશેઃ ભારે વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે
ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું પરંતુ હજુ સુધી ચોમાસાની વિદાયનાં કોઈ એંધાણ દેખાતાં નથી. કારણ કે, હવામાં ભેજનું હજુ પણ વધારે પ્રમાણે છે. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલાં લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. તેથી એક વખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદની અગાહી કરવામાં આવી છે.
સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
દક્ષિણ ગુજરાતમાં ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૪૮ ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસશે.
ગઈ કાલે રવિવારે અમદાવાદ શહેરનું તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ મહત્તમ પારો ૩૩.૯ ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ બાદ વાદળો દૂર થશે અને આકાશ સ્વચ્છ થશે. હાલમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્રમાં ૧૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ તાપમાન ૩૧થી ૩૪ ડિગ્રીએ પહોંચ્યું છે. લો પ્રેશર સિસ્ટમને કારણે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. ગત આખું સપ્તાહ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ત્યાર બાદ હવે
વરસાદે વિરામ લેતાં વાદળછાયું વાતાવરણ
અત્યારે દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની અગાહીને જોતાં હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
નર્મદા કાંઠા વિસ્તારનાં ૨૬ ગામને એલર્ટ કરાયાં
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૪૪ મીટરે પહોંચી છે. આથી નદી કાંઠાનાં ૨૬ ગામને એલર્ટ કરાયાં છે. હાલ ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ ઉપરવાસમાં વરસાદના કારણે માત્ર ૨.૭૦ ફૂટ જ દૂર છે. ઓકટોબરના પહેલા સપ્તાહ સુધીમાં ડેમ સંપૂર્ણ ભરાઇ શકે છે.
નવરાત્રીમાં વરસાદ નહિ પડે
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.