પંજાબ કોંગ્રેસમાં વિવાદ શમવાનું નામ નથી લેતો. હવે સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં સિદ્ધુએ ડ્રગ્સ, દારૂ માફિયા સહિત 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ચર્ચા કરવા માટે કહ્યું હતું.
સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો
13 મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો
અગાઉ સિદ્ધુ રાહુલને મળ્યા હતા
પંજાબ કોંગ્રેસનો વિવાદ હજુ ઉકેલાતો નથી અને નવા નવા કિસ્સાઓ રોજ સામે આવતા જય છે. તાજો કિસ્સો એવો છે કે નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. પત્રમાં સિદ્ધુએ ડ્રગ્સ, દારૂ માફિયા સહિત 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરીને સોનિયાને પંજાબ સરકારને આ મુદ્દાઓ પર કામ કરવાનું કહ્યું છે. સિદ્ધુએ સોનિયા ગાંધી પાસેથી આ 13 મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે. પત્રમાં સિદ્ધુએ પોતાની જાતને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગણાવતા કહ્યું કે તેમની પાસે વહીવટી નજર રાખવાની જવાબદારી છે એમ પણ કહ્યું હતું.
નવી રણનીતિ અપનાવી
સિદ્ધુએ કહ્યું છે કે સરકારમાં દલિત સમાજનો અવાજ મજબૂત કરવા માટે એક દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ આવું થયા હોવા છતાં તેમને રાજ્યમાં સમાન સ્થાન મળ્યું નથી. સિદ્ધુએ માગણી કરી છે કે ચન્ની કેબિનેટમાં ધાર્મિક સમાજના ઓછામાં ઓછા એક સભ્યને મંત્રી બનાવવો જોઈએ, ઉપરાંત દોઆબા વિસ્તારમાંથી અને પછાત વર્ગમાંથી બે મંત્રી બનાવવા જોઈએ. સિદ્ધુએ સોનિયાને લખેલા પત્રથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને મળ્યા છતાં તેમની નારાજગીનો અંત આવ્યો નથી અને તેથી જ તેમણે હવે નવી રણનીતિ અપનાવી છે.
રાહુલ ગાંધીને આશ્વાસન
રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી. સિદ્ધુએ રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે. તેઓ PCC પ્રમુખ તરીકે ફરી કામ શરૂ કરશે.
સિદ્ધુ રાહુલને મળ્યા હતા
નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ સિદ્ધુએ નક્કી કર્યું હતું કે તેઓ પંજાબ યુનિટનાં પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, "ગમે તેટલી ફરિયાદો હતી, મેં તેમને રાહુલ ગાંધી સાથે શેર કરી. તે બધું ઉકેલાઈ ગયું છે. "જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે, ત્યારે સિદ્ધુએ કહ્યું કે હું જે પણ કરી રહ્યો છું તે તમારી સામે જ છે.'
કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ વર્ષે 18 જુલાઈએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે વિવાદનો અંત આવ્યો ન હતો. આ પછી, 18 સપ્ટેમ્બરના રોજ, અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ પછી, 20 સપ્ટેમ્બરે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે બાદમાં ચન્ની સરકારના કેટલાક નિર્ણયોથી નારાજ થઈને સિદ્ધુએ રાજીનામું આપ્યું.