રાજકોટઃ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીદવેએ નવરાત્રી વેકેશનની જાહેરાત કરતા ગુજરાતના નેતાઓમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નવરાત્રી વેકેશનનો વિરોધ કરાયો છે. 400 ખાનગી શાળાના સંચાલકોની વેકેશન રદ્દ કરવાની માગ છે.
શાળાના સંચાલકોએ મુખ્યમંત્રી અને શિક્ષણ રાજયમંત્રીને રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે જાહેરાત થતાની સાથે જ મુખ્યમંત્રીએ અજાણ હોવાનું નિવેદન આપ્યું હતું.
ફટાકડા ફોડી નિર્ણયને આવકાર્યો
તો બીજી તરફ સુરતીઓએ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની રજાના નિર્ણયને આવકાર્યો છે. જેને લઈને સુરતવાસીઓમાં ખુશીનો માહોલ સામે આવ્યો છે. શિક્ષણમંત્રી વિભાવરી બહેન દવે દ્વારા શાળા અને કોલેજમાં નવરાત્રી દરમિયાન વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેથી હવે દિવાળીની સાથે નવરાત્રીમાં પણ વેકેશનનો માહોલ જામશે. સુરતના વેડરોડ ખાતે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ગરબે જૂમી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.