ગઢડા દેવપક્ષ મંદિરના સ્વામી નૌતમ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. ગઢડાની ચૂંટણીને લઈને તેમણે નિવેદન આપ્યુ છે. જેમાં નૌતમ સ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર માન્યો અને ગઢડાની ચૂંટણીમાં સરકારે અમને ટેકો આપ્યો હોવાનું જણાવ્યું હતું.
તેમજ ભાજપ સરકાર અમારી સરકાર છે તેવું નિવેદન આપ્યું. જો કે, તરત જ વાતને વાળતા તેમણે કોઈ પક્ષ સાથે લેવાદેવા ન હોવાની વાત કરીને જે સારુ કામ કરે તેની સરકારને માનવાની વાત કરી. મળતી માહિતી મુજબ ગઇકાલે આચાર્ય રાકેશપ્રસાદની સભામાં નૌતમ સ્વામીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.
મહત્વનું છે કે,ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 16 વર્ષના લાંબા સમયગાળા બાદ 5 મે 2019ના રોજ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દેવપક્ષે સત્તાધારી આચાર્ય પક્ષને હરાવીને વિજય મેળવ્યો હતો.
આમ, આચાર્ય પક્ષના 21 વર્ષના શાસનકાળનો અંત લાવવામાં દેવ પક્ષને સફળતા મળી હતી.ગઢડા મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે એક મહત્વનું તીર્થ સ્થળ છે કારણ કે ભગવાન અહીંયા 28 વર્ષ સુધી રહ્યા હતા અને અહીંયા જ અંતિમ શ્વાસ લીધા હતા.