જળવાયુ પરિવર્તન માનવજાત માટે એવો ચિંતાનો વિષય છે જેનો ઉકેલ જેટલો વહેલો લાવવાની જરૂરિયાત છે તેટલો જ તેનો વહેલો ઉકેલ શક્ય નથી. જળવાયુ પરિવર્તની સીધી અસર કૃષિ પર જોવા મળી રહી છે. જો નજીકના ભવિષ્યમાં તેનો ઉકેલ નહીં આવે તો આગામી સમય ભારત સહિત અનેક દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે જો સ્થિતિ આમ જ રહી તો સમગ્ર દુનિયાઓ તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. જોઈએ આ રિપોર્ટ...
જળવાયુ પરિવર્તનના કારણે ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું તાપમાન એકાએક વધી જવાનો ભય સેવાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે સદીના અંત સુધીમાં તાપમાન વધવાના કારણે ભયંકર વરસાદ અને ચક્રવાતની સંખ્યા વધી શકે છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અમેરિકામાં નાસાના જેટ પ્રોપોલ્સન લેબોરેટરીના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. નાસાના અભ્યાસમાં એ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જળવાયું પરિવર્તનના કારણે પૃથ્વી પર ભીષણ કુદરતી તોફાનોની માત્રા વધી શકે છે. નાસાએ આ માટે દરિયાયી સપાટીનું તાપમાન અને ભીષણ તોફાનો વચ્ચેના સંબંધોનો અભ્યાસના આધારે આ તારણ દર્શાવ્યું છે. નાસાના મત મુજબ દરિયાયી સપાટીનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ કરતા વધી જાય તો ગંભીર તોફાનનો ખતરો સર્જાઈ શકે છે.
જિયોલોજિકલ રિસર્સ લેટર્સમાં પ્રકાશિત અધ્યયનમાં એ જાણવા મળ્યું છે કે દરિયાયી સપાટીના તાપમાનમાં પ્રતિ એક ડિગ્રી સેલ્સિયસ વધારો થવાના કારણે પૃથ્વી પર 21 ટકા વધારે તોફાનો સર્જાય છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ગરમ વાતાવરણમાં ગંભીર તોફોનોનો ખતરો વધી જાય છે. અને એમ પણ ભારે વરસાદ સાથેના તોફાનો ખાસ કરીને વર્ષની સૌથી ગરમ ઋતુમાં જ આવે છે.
જળવાયું પરિવર્તનના કારણે સમગ્ર દુનિયામાં આજે ઋતુની પેટર્ન બદલાઈ રહી છે. દરેક ઋતુ વધુને આકરી બની રહી છે. ઉનાળો આકરો મિજાજ દર્શાવી રહ્યો છે. તો ચોમાસુ રૌદ્રરૂપ ધારણ કરી રહ્યુ છે. અને શિયાળો કાતિલ બની રહ્યો છે. .ઋતુ ચક્ર બદલાતુ જવાનું આ પરિણામ છે અને ઋતુચક્ર બદલાવાનું આ કારણ છે માનવજાતે સર્જેલું પદૂષણ. એક તરફ ઔધોગિક વિકાસે માનવજાત માટે રોજગારીનું સર્જન કર્યું છે તો બીજી તરફ માનવજાત માટે જીવનના મૂળ સમાન કુદરતી સ્રોતોને પ્રદૂષિત કરવા સાથે ખાતમો બોલાવી દીધો છે. જેના કારણે તેની સીધી ગંભીર અસર કૃષિ ઉત્પાદન પર પડી છે.
પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્ત મંત્રાલયના રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે. બીજેપી સાંસદ મુરલી મનોહર જોશીના અધ્યક્ષવાળી સમિતીએ સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે જળવાયુ પરિવર્તનની સીધી અસર કૃષિ ઉત્પાદન પર જોવા મળશે. જેના કારણે 2020 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં 6 ટકા બટાકાના ઉત્પાદનમાં 11 ટકા અને મકાઈના ઉત્પાદનમાં 18 ટકા જ્યારે સરસિયાના ઉત્પાદનમાં 2 ટકા ઘટાડો થવાનો ખતરો છે. જ્યારે સૌથી વધારે ખરાબ અસર ઘઉંના ઉત્પાદન પર પડશે. એવું અનુમાન છે કે જળવાયુ પરિવર્તનના કારણે ઘઉંનું ઉત્પાદમાં 60 લાખ ટન જેટલો ઘટાડો થશે.
ઉત્પાદન ઘટશે
2020 સુધીમાં ચોખાના ઉત્પાદન માં 6 ટકા બટાકાના ઉત્પાદનમાં 11 ટકાનો ઘટાડો થશે મકાઈના ઉત્પાદનમાં 18 ટકા જ્યારે સરસિયાના ઉત્પાદનમાં 2 ટકા ઘટાડાની સંભાવના સૌથી વધારે ખરાબ અસર ઘઉંના ઉત્પાદન પર પડશે. જળવાયુ પરિવર્તનના કારણે ઘઉંના ઉત્પાદમાં 60 લાખ ટન જેટલો ઘટાડો થશે.