માં રેવા... જેને આપણે નર્મદા તરીકે અને તેથી પણ ઉપર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખીએ છીએ. પરંતુ ભરૂચ વાસીઓ માટે આજે નર્મદા માત્ર બેટ બની ગઈ છે અને ભવિષ્યમાં રણ પણ બની જશે. કારણ કે, ધીમે-ધીમે નદીમાં કાંપ વધતો જઈ રહ્યો છે.
નર્મદાનું પાણી દીશા બદલી રહ્યું છે. તો બીજી તરફ દરિયો અનેક કિલોમીટર સુધી પોતાનો કબજો જમાવી રહ્યો છે. ત્યારે કેવી છે મા રેવાની હાલત અને કેવું હોઈ શકે છે ભરૂચવાસીઓનું ભવિષ્ય જુઓ આ અહેવાલમાં
ભરૂચ પાસ બની એક નાના વોકળા સમાન
મા નર્મદા જે આજે વિરસાઈ રહી છે, જેના વહેણ આજે દીશા બદલી રહ્યા છે, જે આજે ખાલીખમ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, હંમેશા પાણીથી છલોછલ રહેતી નર્મદા નદી ભરૂચ પાસે હવે માત્ર એક નાના વોકળા સમાન બની ગઈ છે. નદીમાં પાણી કરતા પણ વધુ કાપના બેટ જોવા મળી રહ્યા છે. જાણે એવું લાગી રહ્યું છે કે,નદી લુપ્ત થઈ ગઈ છે.
અહીં સવાલ એવો થતો હશે કે ભરૂચની જીવાદોરીની આવી સ્થિતિ કેવી રીતે બની. તો આપને જણાવી દઈએ કે, વર્ષોથી નદીની અંદરથી કા પનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. પરંતુ તંત્ર દ્વારા કાપને નિકાળવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. બીજી તરફ ગત વર્ષે ઓછા વરસાદના કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. જેથી દરિયાની ભરતીના કારણે, નદીમાં અનેક કિલોમીટર સુધી દરિયાના પાણીએ કબજો જમાવ્યો હતો.
નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી વધી
દરિયાનું પાણી નદીમાં રહેતા ભૂગર્ભજળમાં તેની અસર પડી. જેના કારણે આસપાસની જમીનોમાં પાણી ખારા બન્યા. પાણી ખારા બનતા નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. સ્થિતિ એવી બનતી જઈ રહી છે કે, ભવિષ્યમાં ભરુચનું ભાવી અંધકારમય બની જશે. કારણ કે, જીવાદોરીમાં ખાર કબજો કરી રહ્યો છે.
જીવાદોરી બેટમાં ફેરવાઇ રહી છે
મહત્વનું છે કે, સરકાર જળસંગ્રહ માટે હજારો કરોડ પાણીની જેમ વહાવી રહી છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે, સરકારને ભરૂચવાસીઓની ચિંતા લાગતી નથી. સ્થાનિય નેતાગીરી પણ બસ માત્ર કમાવાની દાનતે જ નેતાગીરી કરતા હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે, જીવાદોરી બેટમાં ફેરવાતી હોઈ તો જનતાના પ્રતિનિધી કેવી રીતે શાંત રહી શકે.
પરંતુ અહીં તો નેતાઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. પરંતુ આશા રાખીએ કે, રાજ્યના વિકાસની વાતો કરતી સરકાર આ દિશામાં વહેલી તકે કોઈ પગલા ભરશે. જેથી ભરૂચમાં નર્મદા હંમેશ જીવીત રહે.