રાજકારણ સહિત તમામ ક્ષેત્રની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડમાં પણ વંશવાદનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)ની અધ્યક્ષ બનવા જઈ રહી છે. ટીએનસીએની આગામી ગુરુવારે યોજાનારી એજીએમમાં રૂપાનું બીસીસીઆઇ દ્વારા માન્યતા પ્રાપ્ત એકમની પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
એન. શ્રીનિવાસન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) નાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બાદ TNCA માં પણ પિતાનો વારસો પુત્રી સંભાળી શકે
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ગત રવિવારે યોજાયેલી ટીએનસીએની બેઠકમાં નિર્ણય કરી લેવામાં આવ્યો છે. હવે એવી કોઈ જ શક્યતા નથી કે શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથને કોઈ વિરોધનો સામનો કરવો પડે. નામાંકનની અંતિમ તારીખ આજે ૨૪ સપ્ટેમ્બર છે. ઉલ્લેખનીય છે કે ટીએનસીએની ચૂંટણીને સુપ્રીમ કોર્ટે શરતો સાથે મંજૂરી આપી છે.
જુદાં-જુદાં પદો માટે જે અન્ય ઉમેદવાર મેદાનમાં છે. તેમાં આર. એસ. રામાસ્વામી (ઉપાધ્યક્ષ), કે. એ. શંકર (સંયુક્ત સચિવ) અને જે. પાર્થસારથી (કોષાધ્યક્ષ) શામેલ છે. આ પહેલાં શનિવારનાં રોજ રાજકોટમાં શાહ પરિવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ પર પોતાનો દબદબો યથાવત રાખ્યો. બીસીસીઆઇનાં પૂર્વ સચિવ નિરંજન શાહનાં પુત્ર જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં અધ્યક્ષ બન્યા છે.
તમને જણાવી દઇએ કે તમિલનાડુ ક્રિકેટ સંઘ (ટીએનસીએ)ની ચૂંટણીને સુપ્રીમ કોર્ટે સશર્ત મંજૂરી આપી છે. બીસીસીઆઇની પ્રશાસકીય સમિતિ સીઓએ (CoA) અનુસાર ટીએનસીએ (TNCA) એ બોર્ડનાં નવા સંવિધાનને સંપૂર્ણ રીતે અપનાવવામાં નથી આવેલ. આ જ કારણોસર તેની ચૂંટણીને માન્યતા ના આપવી જોઇએ. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર કહ્યું કે, ચૂંટણી થઇ જવા દો. પરંતુ પરિણામ કોર્ટનાં અંતિમ નિર્ણય પર નિર્ભર કરશે.
નિરંજન શાહનો પુત્ર જયદેવ બન્યો SCAનો અધ્યક્ષ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)માં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તે અંતર્ગત જયદેવ શાહની પ્રમુખપદે નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિરંજન શાહનો પુત્ર છે, જેમણે વર્ષો સુધી SCA પર એકચક્રી શાસન કર્યું હતું. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે દીપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતના હોદ્દેદારોની વરણી થઈ છે.
SCAના ચૂંટણી અધિકારી વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. તા. ૪ મે, ૧૯૮૩ના રોજ જન્મેલો જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને બીસીસીઆઈનાં ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પુત્ર છે. જયદેવે ૨૦૦૨-૦૩મા પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. તે ૧૬ વર્ષ સુધી સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમ્યો હતો. જયદેવ શાહે પોતાના કરિયર કુલ ૧૨૦ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેણે ૧૧૦ મેચમાં સૌરાષ્ટ્રનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું, જે પણ એક રેકોર્ડ છે.