ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K પ્રોટીન્સના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા આશરે ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી કંપનીને આજે સફળતાના શિખરે લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો
એન કે પ્રોટીન્સના MD નિલેશભાઈ પટેલનું અવસાન
હૃદય રોગના હુમલાથી નિલેશ પટેલનું દેહાવસાન
તિરુપતિ ખાદ્યતેલ બ્રાન્ડ જાણીતી કરવામાં આપ્યો હતો ફાળો
ખાદ્યતેલ ઉત્પાદનમાં અનેક ઇનોવેશનની કરી હતી પહેલ
જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરૂપતિની પેરેન્ટ કંપની N K પ્રોટીનના મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ પટેલનું આજે રવિવારે હ્રદય રોગના હુમલાથી અવસાન થયું હતું.
ભારતની પહેલી ખાદ્યતેલ કંપની હતી જેને ISO સર્ટિફિકેટ મળ્યું હોય
માર્ચ 1992માં નિલેશ પટેલ અને નિમિષ પટેલે તેમના બિઝનેસની શરૂઆત કરી હતી. તેમની કુશળ મહેનતથી આજે તેઓની કંપની પ્રતિ દિન 1550 MT જેટલું રિફાઇન્ડ ઓઇલ ઉત્પાદિત કરે છે. નોંધનીય છે કે તેમની કંપની ભારતની પહેલી એડિબલ ઓઇલ કંપની બની હતી જેને ફૂડ એન્ડ સેફટી ક્વોલિટી મેનેજમેન્ટ સર્ટિફિકેશન ISO 22000:2005 મળ્યો હોય.
N K પ્રોટીન્સને સફળતાના શિખર પર લઈ જવામાં મોટો ફાળો
ઉલ્લેખનીય છે કે નિલેશ પટેલ એન કે પ્રોટીન્સ શરૂ થઈ ત્યારથી જોડાયેલા હતા અને કંપનીમાં તેમ જ ખાદ્ય તેલ ઈન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવાનું દ્રઢ મનોબળ બનાવ્યું હતું. જેના પગલે કંપનીને ટેકનિકલી અપગ્રેડ કરવામાં તેમ જ ઈનોવેશન લાવવામાં તેમનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એન.કે. પ્રોટીન્સમાં, "Innovation at Each Step" એવું સૂત્ર બનાવ્યું હતું જેને તેમણે શરૂઆતથી પોતાનો મંત્ર બનાવી દીધો હતો. તેમનું માનવું હતું કે કંપનીની સફળતાની સફરમાં મુખ્ય ભૂમિકા ઈનોવેશને ભજવી છે.
ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ અગ્રેસર
ખાદ્ય તેલ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ તેમનો સિંહ ફાળો રહેલો છે. N K પ્રોટીન્સનું કેસ્ટર ઓઇલ વિશ્વભરમાં વપરાય છે. ભારતના કેસ્ટર ઓઇલના સૌથી ટોચના નિકાસકારોમાંથી એક N K પ્રોટીન્સ છે.