બૉલીવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે દિવસેને દિવસે વણાંક આવી રહ્યા છે. બિહારની મુઝફ્ફરપુરની કોર્ટે સુનાવણી બાદ નોટિસ જાહેર કરી છે. જિલ્લાના જજે સુશાંત મામલે બોલીવૂડના એક્ટર સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજીદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર સહિતનાઓ સામે નોટિસ જાહેર કરી છે અને આ તમામ લોકોને 7 ઓક્ટોબરના રોજ પોતે અથવા પ્રતિનિધિ સ્વરૂપે હાજર રહીને પોતાનો પક્ષ રાખવાના આદેશ કર્યા છે.
મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ સુશાંતના મોત બાદ CJM કોર્ટમાં 17 જૂનના રોજ પરિવાદ દાખલ કર્યો હતો. સુધીર ઓઝાના પરિવાદ પર જ કોર્ટે સલમાન ખાન- કરણ જોહર સહિત 8 લોકોને કોર્ટમાં હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ સેલેબ્સને આ અંગેની નોટિસ પણ મોકલવામાં આવી છે.
ડ્રગ કનેક્શન બાદ ધરપકડનો દોર જામ્યો
આપને જણાવી દઇએ કે, સુશાંત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ ધરપકડનો દોર જામ્યો છે. એનસીબી દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિક સહિત એક ડઝન લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જો કે, હજી 25 જેટલા લોકો પર NCBની નજર છે.
સુશાંત પોતાના જ ફ્લેટમાંથી મૃત હાલતમાંથી મળી આવ્યો હતો
આપને જણાવી દઇએ કે, ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત મુંબઇ સ્થિત પોતાના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત કેસને લઇને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંત કેસની તપાસ પહેલા મુંબઇ પોલીસ આત્મહત્યના એન્ગલથી કરી રહી હતી પરંતુ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જો કે, હાલ આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે.