દેશભરમાં આજે ઈદનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હવે સરકાર મદદ કરશે.
કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તેમના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વિદ્યાર્થીઓને ‘પ્રધાનમંત્રી છાત્રવૃત્તિ’ આપવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ લાભાર્થીઓમાંથી લગભગ અઢી કરોડ એટલે કે પચાસ ટકા વિદ્યાર્થિનીઓ હશે.
પ્રધાનમંત્રી છાત્રવૃત્તિનો લાભ લેવાની પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શી બનાવી દેવામાં આવી છે. નકવીએ જણાવ્યું કે વિકાસની ગાડીને વિશ્વાસના હાઈવે પર ઝડપથી દોડાવવી એ આગામી પાંચ વર્ષમાં અમારી પ્રાથમિકતા રહેશે, જેનાથી દરેક જરૂરિયાતમંદની આંખોમાં ખુશી અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય. વિશ્વાસના હાઈવે પર અમે કોઈ સ્પીડબ્રેકર નહીં આવવા દઈએ અને કોઈ વિઘ્ન પણ નહીં આવે. આ માટે આપણે બધાંએ ચોકસ્સ અને સાવધાન રહેવું પડશે.
મુખ્તાર અબ્બાસ નકવીએ વધુમાં જણાવ્યું કે ૩-ઈ એટલે કે એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને એમ્પાવરમેન્ટ અમારું લક્ષ્ય છે. તેને પૂરું કરવા માટે અમે પરિશ્રમ કરી રહ્યા છીએ. મુસ્લિમ વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે ‘પઢો-બઢો’ અભિયાન ચલાવવામાં આવશે. દૂરના અંતરિયાળ વિસ્તારમાં આર્થિક અને સામાજિક કારણોસર છોકરીઓને અભ્યાસ માટે મોકલવામાં આવતી નથી. ત્યાંનાં શૈક્ષણિક સંસ્થાનોને સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ કરાવાની દિશામાં પણ કામ કરવામાં આવશે. ૧૦૦થી વધુ મોબાઈલ વાનના માધ્યમથી શિક્ષા અને રોજગાર સાથે જોડાયેલા સરકારી કાર્યક્રમોની જાણકારી આપવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે.
મુસ્લિમોને રોજગાર આપવા અંગે નકવીએ કહ્યું કે રોજગારના મુદ્દે પણ પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરવામાં આવશે. શિલ્પકાર અને કારીગરોને રોજગાર મળે તે હેતુથી કામ કરાશે. આગામી પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ ‘હુન્નર હાટ’ ઊભા કરવામાં આવશે, તેનાથી કારીગરોને બજાર મળી રહેશે. સ્વદેશી ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. પાંચ વર્ષમાં રપ લાખ નવયુવાનોને તેમના કૌશલ્ય અનુસાર રોજગાર મળી રહે તેનું આયોજન પણ સરકાર કરી રહી છે.