ટેલિવિઝન પર રામાયણ, મહાભારત અને શક્તિમાન જેવી સીરિયલ્સ ફરી ટેલિકાસ્ટ થતા એક્ટર મુકેશ ખન્ના ખૂબ જ ખુશ છે અને એક ઇન્ટરવ્યૂમાં આ અંગે વાત કરતા તેમણે સોનાક્ષી સિંહાની મજાક ઉડાવી હતી.
એક્ટરનું કહેવુ છે કે, ''આ શો જેમણે પહેલાં નહોતો જોયો તે લોકો માટે ઘણો જ ફાયદાકારક રહેશે. આ શો સોનાક્ષી સિંહા જેવા લોકોને પણ લાભદાયી રહેશે, જેમને આપણા ધર્મ વિશે કોઈ માહિતી નથી. તેના જેવા લોકોને એ ખ્યાલ નથી કે હનુમાન કોના માટે સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતાં.''
ઉલ્લ્ખેનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં સોનાક્ષી સિંહા ‘કૌન બનેગા કરોડપતિ’માં આવી હતી. સોનાક્ષીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘રામાયણ’ પ્રમાણે, હનુમાન કોના માટે જડીબુટ્ટી લેવા ગયા હતાં? આ સવાલના ચાર ઓપ્શન (સુગ્રીવ, લક્ષ્મણ, સીતા તથા રામ) સાંભળીને સોનાક્ષી મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. સોનાક્ષીએ આ સવાલના જવાબ માટે લાઈફલાઈન લીધી હતી. શોના હોસ્ટ અમિતાભ બચ્ચને પણ સોનાક્ષીને કહ્યું હતું, તમારા પિતાજીનું નામ શત્રુધ્ન છે, તમે જે ઘરમાં રહો છો તેનું નામ રામાયણ છે. તમારા જેટલાં પણ કાકા છે, તે તમામના નામ રામાયણ સાથે સંબંધિત છે. તમને એ ખબર નથી કે હનુમાન લક્ષ્મણ માટે જડીબુટ્ટી લાવે છે. સોનાક્ષીએ કહ્યું હતું કે તેને લાગ્યું હતું પરંતુ તે નર્વસ થઈ ગઈ હતી અને તે કોઈ ચાન્સ લેવા માગતી નહોતી. શોમાં સોનાક્ષીની માતા પૂનમ સિંહા પણ આવી હતી. દીકરીની વાત સાંભળીને તેઓ હસી પડ્યાં હતાં. જોકે, સોનાક્ષી સોશ્યલ મીડિયામાં ઘણી જ ટ્રોલ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે બી આર ચોપરાની ‘મહાભારત’ સિરિયલમાં મુકેશ ખન્નાએ ભીષ્મપિતાનો રોલ પ્લે કર્યો હતો. લૉકડાઉન દરમિયાન દૂરદર્શન જૂની સિરિયલ્સ ફરી વાર ટેલિકાસ્ટ કરી રહ્યું છે.