ભારતનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર ઘણી ટીકા-ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. ઘણા સમયથી ધોની ક્રિકેટના મેદાનથી દૂર છે. એવામાં એમના ભવિષ્યને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ધોની પર મોટું નિવેદન આપ્યું છે.
ધોનીના ભવિષ્ય પર શોએબ અખ્તરનું નિવેદન
વર્લ્ડ કપ બાદ જ સંન્યાસ લઇ લેવાની જરૂર હતી : શોએબ
ધોનીને શાનદાર વિદાય આપવા શોએબ અખ્તરે આપી સલાહ
મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર આજ સુધી ધોનીએ કોઈ નિવેદન આપ્યું નથી છતાં ઘણા બધા લોકોએ ધોનીનાં સંન્યાસ લેવા પર અટકળો લગાવી હતી. ઘણાને આશા હતી કે આઈપીએલ બાદ ધોની વાપસી કરશે પરંતુ કોરોનાને કારણે તે થઇ શક્યું નહી. એવામાં શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપ બાદ તુરત જ ધોનીએ સંન્યાસ લઇ લેવાની જરૂર હતી. તેમણે કહ્યું કે ધોનીએ આ નિર્ણય લાંબા સમય સુધી કેમ લટકાવી રાખ્યો છે ?
અખ્તરે ઈસ્લામાબાદમાં કહ્યું કે આ ખેલાડીએ પોતાની પૂર્ણ ક્ષમતાથી ક્રિકેટની સેવા કરી છે. તેમણે પૂરાં સન્માન સાથે ક્રિકેટને અલવિદા કહેવું જોઈએ. હું નથી જાણતો તેમણે આટલો લાંબો સમય કેમ લીધો ? તેમણે વર્લ્ડકપ બાદ સંન્યાસ લઇ લેવાની જરૂર હતી ઓક્ટોબર-નવેમ્બરમાં ધોનીના વાપસીની સંભાવના હતી જેના પર શોએબ અખ્તરનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે અડધામાં લટકી પડ્યા છે. પરંતુ આ પરિસ્થિતિમાં પણ તેમને શાનદાર વિદાઈ આપવી જોઈએ.
અખ્તરે કહ્યું કે એક દેશ તરીકે ભારતે પૂરા સન્માન સાથે ધોનીને વિદાય આપવી જોઈએ. તેમણે તમારા માટે વિશ્વકપ જીતાડ્યું અને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે ખૂબ સારા માણસ પણ છે પરંતુ તે હાલમાં હવામાં લટકી ગયા છે.